ભરૂચ નજીક નર્મદા નદીમાંથી એક યુવક તથા એક યુવતીનો ગઇકાલે મૃતદેહ મળી આવ્યો હતો. સોમવારે બપોરે મળી આવેલા બંને મૃતદેહ મંગળવારે બપોર સુધી જે તે સ્થળે જ પડી રહ્યા હતા. આ જોતાં ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર ઝગડામાં માનવતા ભૂલી ગઈ હોય તેમ લાગ્યું હતું.
ભરૂચ નજીક આવેલા તળિયા વિસ્તારમાંથી સોમવારે બપોરના અરસામાં એક યુગલનો મૃતદેહ મળી આવ્યા હતા. અંદાજીત 30થી 35 વર્ષની વયના યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બંનેના હાથ બાંધેલા હતા. પ્રાથમિક તબક્કે આ પ્રેમી યુગલે એક સાથે જીવવા મારવાના કોલ આપી બન્ને એ સાથે જીવન ટુંકાવ્યું હોય તેમ લાગી રહ્યું હતું. જોકે, સોમવારે બપોરે મળેલા મૃતદેહ મંગળવારની બપોર સુધી જે તે સ્થળે જ પડી રહ્યા હતા.
ભરૂચ શહેર બી ડીવીઝન, ભરૂચ તાલુકા પોલીસ મથક તથા અંકલેશ્વર શહેર પોલીસ મથક વચ્ચે હદની લડાઈ ચાલી રહી હતી અને હદ નક્કી થઇ શકી ન હતી. જેથી આ મૃતદેહને જે તે સ્થળે જ પડી રહેવા દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. મંગળવારે બપોર સુધી આ મૃતદેહો જે તે સ્થળે જ પડી રહ્યા હતા. અંતે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ વિભાગની માનવતા મારી પરવારી હોય તેમ લાગી રહ્યું છે.