ફેફસાંના કેન્સર તથા સારવારની વચ્ચે સંજય દત્તે સાત સપ્ટેમ્બર, સોમવારના રોજ ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન સંજય દત્તની પત્ની માન્યતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પતિની હિંમત વધારવાનો પ્રયાસ કર્યો હતો. માન્યતાએ કહ્યું હતું કે સારા દિવસો માટે ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે.
માન્યતાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, રૂક જાના નહીં તૂ કહીં હાર કે..કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે. આપણે આપણાં જીવનના સૌથી સારા દિવસ માટે કેટલાંક ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે. ક્યારેય પાછળ હટશો નહીં.
https://www.instagram.com/p/CE3OZ4LjlVo/?utm_source=ig_embed
સંજય દત્તનું કીમોથેરપીનું એક સેશન પૂરું થયું
આ સાથે જ માન્યતાએ સંજુબાબાએ ફરીથી શૂટિંગ શરૂ કરવાના બે સમાચારના કટિંગ ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કર્યા હતા. સૂત્રોના મતે, સંજય દત્તે હાલમાં જ કીમોથેરપીનું એક સેશન લીધું હતું. તે ઝડપથી સાજો થઈ રહ્યો છે.
માન્યતાએ કહ્યું હતું, ચૂપ રહેવું જ સારું
માન્યતાએ આ પહેલાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ક્યારેક-ક્યારેક તમારે બસ ચૂપ રહેવું પડે છે, કારણ કે કોઈ પણ શબ્દ એ વાત સમજાવી ના શકે કે તમારા મન તથા હૃદયમાં શું ચાલી રહ્યું છે.
https://www.instagram.com/p/CEqPAogjdwo/?utm_source=ig_embed
સંજય દત્તની તબિયત એટલી ખરાબ નથી, જેટલી ચર્ચાઈ રહી છે
સંજયે લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર જલીલ પાર્કર ઉપરાંત ફેફસાંના કેન્સર માટે અમેરિકાના ડૉક્ટર્સનો સેકન્ડ ઓપિનિયન લીધો હતો. ત્યારબાદ તે સતત કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. કોકિલાબેન હોસ્પિટલના સૂત્રોના મતે, સંજય દત્તને એ હદે મુશ્કેલી નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે.
સંજય હાલમાં દેશમાં જ સારવાર કરાવશે
બીમારીની સ્થિતિને જોતા સંજય હાલમાં ભારતમાં રહીને જ સારવાર કરાવશે. બીમારીને શરૂઆતના સમયમાં જ ટ્રેસ કરી લેવામાં આવી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સંજય દત્ત હાલમાં પોતાની બાકી રહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે.
આઠ ઓગસ્ટથી અત્યાર સુધી એક્ટરની સફર
આઠ ઓગસ્ટના રોજ સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારબાદ તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ દરમિયાન સંજય દત્તની પત્ની માન્યતા તથા બાળકો દુબઈમાં હતા. બે દિવસ બાદ સંજય દત્તને રજા આપી દેવામાં આવી હતી. 11 ઓગસ્ટે સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાની વાત સામે આવી હતી. આ જ દિવસે સંજય દત્તે કામમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. પહેલા ચર્ચા હતી કે સંજય દત્ત વિદેશમાં સારવાર કરાવશે, પરંતુ સંજયે ભારતમાં જ સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.