બોલિવૂડ ડેસ્ક: ગયા વર્ષે ભારતમાં શરૂ થયેલાં Me Too કેમ્પઈનમાં ઘણી બધી સેલિબ્રિટી પર જાતીય સતામણીના ગંભીર આરોપ લાગ્યા હતા. તેમાં સંગીતકાર અનુ મલિક પર પણ આરોપ લાગ્યા હતા. યશ રાજ ફિલ્મ્સે અનુ મલિક પર લાગેલા આ આરોપ બાદ તેને બેન કરી દીધો છે. સ્વાભાવિક છે કે, અગાઉ જ YRF સ્ટુડિયોએ પોતાની પોલિસીને લઈને ચોખવટ કરી હતી કે તેઓ આવા આરોપો માટે ઝીરો ટોલરન્સ એટલે કે, જરાય ચલાવી ન લેવાની નીતિ રાખે છે. પ્રોડક્શન હાઉસે તેના સિનિયર એક્ઝિક્યુટિવ આશિષ પાટીલને પણ ગયા વર્ષે મી ટૂના આરોપ બાદ કાઢી મૂક્યો હતો.
YRF સ્ટુડિયોના લોકોનું કહેવું છે કે, YRF ક્યારેય એવા લોકોને સપોર્ટ નહીં કરે જેના પર માફ ન કરી શકાય એવો આરોપ લાગ્યો હોય. આ સિવાય YRF સ્ટુડિયોએ મી ટૂના આરોપી આલોક નાથ અને સાજીદ ખાન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. YRF સ્ટુડિયો તેની નોન-નેગોશિએબલ પોલિસીથી સમાજમાં એક ઉદાહરણ બેસાડવા માગે છે. જ્યારે બીજી તરફ સોની ટીવી તેના સિગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ’ની જજ પેનલમાં અનુ મલિકને ફરી સામેલ કરવાના છે તેવી વાતો ચર્ચાઈ રહી છે.
ગયા વર્ષે જાતીય સતામણીના આરોપ બાદ અનુ મલિકને ટીવી રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ’ની જજ પેનલમાંથી બરતરફ કરી નખાયો હતો. હવે તેને નવી સીઝનમાં જજ તરીકે ફરી સામેલ કરવાની વાતની અટકળો ચાલી રહી છે. આ બાબતે અનુ મલિકે કોઈ કમેન્ટ ન કરવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું હતું કે, ‘હાલ તો હું સોન્ગનું રેકોર્ડિંગ કરી રહ્યો છું. અત્યારે હું આ સમયે એટલું જ કહી શકું છું કે, નો કમેન્ટ્સ.’ ઉપરાંત આ બાબતે સોની ટીવીનું પણ કોઈ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી.
અનુ મલિકના વકીલ ઝુલ્ફિકાર મેમણે કહ્યું કે, ‘મારા ક્લાયન્ટ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે એકદમ ખોટા અને પર્યાવગરના છે. મારા ક્લાયન્ટ Me Too મુવમેન્ટનો આદર કરે છે, પરંતુ આ મુવમેન્ટનો ઉપયોગ કોઈના ચારિત્ર્યને હાનિ પહોંચાડવા માટે શરૂ કરવો એ એકદમ ખરાબ છે.’