સુરત નજીક આવેલા કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ થઈ રહી છે. આવતીકાલથી ફાસ્ટેગ ફરજીયાત થવાનો છે ત્યારે સ્થાનિકોને પણ રૂપિયા ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.આ સ્થિતિમાં ના કર સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, શહેરનું હદ્દ વિસ્તરણ થયું હોવાથી હવે ટોલ નાકા પાલિકાની હદથી નજીક આવી ગયા છે. જેથી શહેરીજનોને ટોલમાંથી મુક્તિ આપવી જોઈએ. નિયમ મુજબ સ્થાનિક લોકો માટે ટોલ પ્લાઝા માટે સર્વિસ રોડ બનાવવો અનિવાર્ય છે. જો આવી સ્થિતિમાં આવતીકાલથી સ્થાનિક લોકો પાસેથી ટોલ લેવામાં આવશે હાઈ વે પર ચક્કાજામ કરવામાં આવશે. ના કર સમિતિના આંદોલનને કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
આવતીકાલથી કેશ લાઈન બંધ થશે
1 લી જાન્યુઆરીથી કેશ લાઇન બંધ કરી ફાસ્ટેગનો ફરજિયાત અમલવારી શરૂ થતા શહેરીજનો એ ફરજિયાત ફાસ્ટેગમાંથી મસમોટી રકમ કપાવીને ટોલટેકસ ભરવો પડશે. શહેરીજનો પાસેથી ખુલ્લેઆમ આ લૂંટ જ ચલાવાતી હોવાથી ના કર સમિતિ દ્વારા એકવાર ફરી આંદોલન ઉપાડયુ છે. આજે કોગ્રેસના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. રણનીતિને લઇને આજે ક્લેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું હતું.
નિયમ મુજબ શહેરીજનોને ટોલમાંથી મુક્તિ મળે
નેશનલ હાઇવે સિકયુરીટી એકટમાં જોગવાઇ છે કે શહેરની હદ પૂર્ણ થાય ત્યાંથી 10 કિ.મી સુધીના વિસ્તારમાં ટોલનાકુ ના હોવુ જોઇએ. આ બન્ને ટોલનાકા શહેરની હદથી એકદમ નજીકમાં જ છે. આથી ટોલ ટેકસની મુકિત માટે લડત ચલાવવાની સાથે જ પહેલા આ ટોલપ્લાઝા જ અંહીયાથી દૂર કરી દેવા માટે અડીખમ રહીને લડત ચલાવવાનું નક્કી કર્યુ છે.શહેરની હદ નજીક ચાલતા આ બન્ને ટોલપ્લાઝા બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.