દિલ્હી. દેશમાં દિવસે ને દિવસે કોરોના વાઇરસનું જોખમ વધતું જઈ રહ્યું છે અને હજી સુધી તેમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ રસી પણ નથી મળી. ભારતમાં 25 માર્ચથી સતત લોકડાઉન છે અને લોકો પોતાના ઘરમાં કેદ છે. આ મહામારી સામે લડવા અનેક મોટી ઓટોમોબાઇલ કંપનીઓ પોતાનાથી શક્ય એટલો ફાળો આપી રહી છે. આ જ ક્રમમાં MG Motorsએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે દેશમાં પોલીસ વર્કર્સનાં આશરે 4 હજાર વાહનોને સેનિટાઇઝ કરી આપશે.
એમજી મોટર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ સેનિટાઇઝિંગ અને હાઇ ટચ પોઇન્ટ્સનાં સેનિટાઇઝેશન સહિત આખી કારના સેનિટાઇઝેશન પર કામ કરશે. આ પહેલ અનુસાર, કંપનીએ 4 હજારથી વધુ પોલીસ વાહનોને સેનિટાઇઝ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ સેવા દેશમાં 4 મેથી ફ્રીમાં શરૂ કરવામાં આવશે.
અગાઉ પણ કંપનીએ અનેક પ્રકારના રાહતનાં કાર્યો કર્યાં છે. તાજેતરમાં જ કંપનીએ તેની SUV હેક્ટરને એમ્બ્યુલન્સમાં ફેરવી હતી. એમજીની ટીમે પણ આ કામમાં તેમનો 100% ફાળો આપ્યો અને ફક્ત 10 દિવસમાં જ હેક્ટરને એક એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી. આ એમ્બ્યુલન્સમાં દરેક મહત્ત્વપૂર્ણ ફીચર્સ આપવામાં આવ્યાં છે, જેમાં ઓક્સિજન સિલિન્ડર સાથે એક ઓટોમેટિક લોડિંગ સ્ટ્રેચર સિવાય 5 પેરામીટર મોનિટરવાળું દવાનું કેબિનેટ, લાઇટની વ્યવસ્થા અને સાયરન જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
કંપનીએ અગાઉ તેની ટેસ્ટ ડ્રાઇવ માટે જતી કાર્સને પણ સેનિટાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે કંપની કેબિનમાં Sterilisation ટેક્નિકના માધ્યમથી કેબિનની એરને સંપૂર્ણ રીતે વાઇરસથી સુરક્ષિત રાખશે.