પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. પરિક્રમા મહોત્સવ માટે રાજ્ય અને દેશમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ માટે ST વિભાગે પણ પરિવહનની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર થી 3 કીમી દૂર ગબ્બરના પહાડ આસપાસ 51 શક્તિપીઠ નું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં કરવામાં આવ્યું હતુ.વર્ષમાં એકવાર ફેબ્રુઆરી મહિનામા ગબ્બર ખાતે પાટોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે પાંચ દિવસનો પરિક્રમાં મહોત્સવ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊજવાશે.
પરિક્રમા મહોત્સવમાં પાંચ દિવસના અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત કરાશે.પરિક્રમા મહોત્સવમાં ચામર યાત્રા, મશાલ યાત્રા,જ્યોત યાત્રા સહિત અનેક કાર્યક્રમો ગબ્બર ખાતે યોજાશે.750 જેટલી બસો દ્વારા તમામ ભક્તોને વિના મુલ્યે એસટી સુવિધા દ્વારા 5 દીવસ લાવવામાં આવશે. અંબાજી ખાતે પાંચ દિવસ માઈ ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જૂની કોલેજ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી ખાતે આવનાર માઈ ભક્તો ગબ્બર પરિક્રમા મહોત્સવમાં જવા માટે અલગ અલગ હંગામી બસ સ્ટેન્ડ પણ ઊભા કરવામાં આવ્યા છે.