સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. કોરોના મહામારીની બીજી લહેર પછીના આ પહેલા સત્રમાં 20 બેઠક મળશે. સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાની શક્યતા છે. સરકાર આ સત્રમાં નવા 17 ખરડા લાવી રહી છે અને તે પસાર કરાવવા પૂરો પ્રયાસ કરશે. બીજી તરફ વિપક્ષ પણ ખેડૂત આંદોલન, કોરોના અને સંરક્ષણ સેવાઓમાં હડતાળને ગુનો ગણવા સંબંધી વટહુકમ મામલે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. તાજેતરમાં થયેલા કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ, પુનર્ગઠન બાદ યોજાઇ રહેલા આ સત્રમાં નવા મંત્રીઓની કસોટી થશે. શિક્ષણ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાન, સ્વાસ્થ્ય મુદ્દે મનસુખ માંડવિયા, પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે હરદીપ સિંહ પુરી વિપક્ષનો સામનો કરશે જ્યારે સોશિયલ મીડિયા સંબંધી મુદ્દે અનુરાગ ઠાકુરે નવું મંત્રાલય સંભાળતા જ અણિયાળા પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી કરવાની છે.
સરકારની તૈયારી
આ સત્રમાં લવાઇ રહેલા 17 ખરડામાંથી 2 વટહુકમના સ્થાને લવાશે. એટલે કે 15 ખરડા નવા છે જ્યારે 2 વટહુકમ દ્વારા લાગુ થઇ ચૂક્યા છે. 6 ખરડા સંસદમાં અગાઉથી પડતર છે. કુલ 23 ખરડા સંસદમાં લિસ્ટેડ કરાયા છે.
વિપક્ષની તૈયારી
વિપક્ષ ખેડૂત આંદોલન, કોરોના, સંરક્ષણ સેવાઓમાં હડતાળને ગુનો ગણવા સંબંધી વટહુકમ મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે. આસામ અને યુપીમાં વસતીનીતિ અંગે પણ કેન્દ્રને આકરા સવાલો કરવાની તૈયારી છે.