દક્ષિણ ગુજરાતના વલસાડ અને મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પશ્ચિમ રેલવેએ મુંબઈના પરા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ટ્રેક પાણીમાં ગરક થતા બે ડઝનથી વધુ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યુલ અને રેગ્યુલેટ કરવાની ફરજ પડી હતી.
મુંબઈ-અમદાવાદ અને દિલ્હી વચ્ચે અપ અને ડાઉનમાં રાજધાની, અગસ્ટક્રાંતિ, ગરીબ રથ, કેવડિયા-દાદર, ફ્લાઈંગ રાણી સહિતની સુપરફાસ્ટ, મેઈલ, સ્પેશ્યલ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશને પણ ટ્રેનો તેના નિયમિત સમય કરતાં વિલંબિત થતા મુસાફરો અટવાઈ ગયા હતા.