નડિયાદમાં દર વર્ષે બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાદ્યુ છે. ચાલુ વર્ષે ભલે કેસ ઓછા હોય પરંતુ આ વર્ષે પણ નડિયાદની શાહી ઈદગાહમાં ઈદના દિવસની નમાઝ પઢવામાં આવશે નહી તેવો નિર્ણય લેવાયો છે.
આગામી 21 જુલાઈના રોજ બકરી ઈદ હોવાથી આ વર્ષે પણ નડિયાદમાં અમદાવાદી દરવાજા બહાર આવેલી શાહી ઈદગાહમાં આ પર્વ નિમિત્તે નમાઝ પઢવામાં આવશે નહી તેમ સમસ્ત મુસ્લિમ સમાજના શહેરકાઝી અબ્દુલહૈઈ કાદરીએ જણાવ્યું છે.
મુસ્લિમ બીરાદરોને ઘરે રહીને નમાઝ અદા કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે શહેરકાઝીએ જણાવ્યું છે કે, સરકાર તરફથી ચાલતાં મુફ્ત રસીકરણ અભિયાનમાં સમાજના ભાઈઓ, બહેનો, યુવાન, યુવતીઓ સહિત વૃદ્ધ વડિલ લોકો રસી મુકાવવા અપીલ કરી છે.