ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે કે,ગરીબ ઘરની છોકરીઓને ફોસલાવીને તેમનો માનવ તસ્કરીમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આવું માત્ર ફિલ્મોમાં જ નહીં પણ અસલી જિંદગીમાં પણ થાય છે. મધ્યપ્રદેશનું શિવપુરી આ માટે કુખ્યાત છે. જ્યાં પૈસાથી દુલ્હન ખરીદવામાં આવે છે, જો પસંદ ના આવે તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચી દેવામાં આવે છે.
માનવ તસ્કરી રોકવા વિશ્વભરના દેશો પ્રયાસરત છે. કેમ કે, આ એક આધુનિક ગુલામી પ્રથા છે. જેમાં ગરીબી અને અશિક્ષાનો દુરુપયોગ કરી સારા જીવનની લાલચ આપીને મહિલાઓની લે-વેચ કરવામાં આવે છે. મહિલાઓની માનવ તસ્કરી મુખ્યત્વે ત્રણ કામ માટે કરવામાં આવે છે. જેમાં મોટા શહેરોમાં ઘરેલુ કામ માટે, પોર્નોગ્રાફી માટે અને સામાજિક સુરક્ષાની લાલચ આપી કોઈની સાથે પરણાવા માટે. ભારતમાં પણ આ ગેરકાનૂની કામ ચાલે છે. જે લોકોના લગ્ન ના થતાં હોય તેઓ દલાલ મારફતે ગરીબ આદિવાસીઓ છોકરીઓને પૈસાથી ઘરે લાવે છે.
આ માટે મધ્યપ્રદેશનું શિવપુરી ખૂબ બદનામ છે. કેમ કે, અહીંયા મોટા પાયે આવી મહિલાઓ મળી રહે છે જેમને પૈસાથી ખરીદીને લાવવામાં આવી છે. અહીંયા તમને મોટા પાયે દલાલો મળી રહે છે. જે 10 હજારથી 7 લાખ સુધીમાં છોકરીઓ લાવી આપે છે. જે લોકોના લગ્ન તેમની કોમ્યુનિટીમાં ન થતાં હોય, તેઓ આ પ્રકારે મહિલાઓ લાવે છે. અને તેને પત્ની તરીકે રાખે છે. જો પસંદ ના આવે તો મારીને ભગાવી દેવામાં આવે છે અથવા તેને બીજી જગ્યાએ વેચી દેવામાં આવે છે.
શિવપુરીમાં આ બધું બેરોકટોક એટલા માટે ચાલે છે કેમ કે જ્યારે છોકરીને લાવવામાં આવે છે ત્યારે રાજીનામાના કરાર પર સહી કરાવી દેવામાં આવે છે. અહીંયા રંગ, રૂપ આધારે છોકરીની કીંમત થાય છે. રૂપાળી અને નવી છોકરીની કીંમત વધુ હોય છે. અહીંયા એક – બે જગ્યાએ પરણેલી સ્ત્રી પણ દલાલો લઇ આપે છે.
આ કામ માટે છત્તિસગઢ, ઓડિશા, ઝારખંડની ગરીબ અને માબાપ વગરની છોકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અમુક પરિવારો એવા હોય છે જેમને બે ટાઇમ ખાવાના પણ ફાંફા હોય છે. જેથી તે પરિવારોને ફોસલાવીને તેમની દીકરીને ભોજન મળશે, સારા અને સ્થાયી જીવનનો વાયદો કરીને લાવવામાં આવે છે. જો આ છોકરીઓને પતિ સારો ન મળે તો તેની સાથે મારપીટ પણ થતી હોય છે. આ છોકરી પસંદ ના આવે તો તેની રિસેલ એટલે કે બીજા પુરુષને ત્યાં વેચી નાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, શિવપુરીમાં આ દલાલો કાચી ઉંમરની છોકરીઓનો પણ સોદો કરતા હોય છે. જેમાં પ્રથમવાર પીરિયડ શરુ થયાના થોડા જ સમયમાં આ છોકરીઓનો સોદો કરી દેવામાં આવે છે. દલાલ મારફતે પૈસાથી ખરીદીને લાવેલી આ મહિલા પરત જતી ના રહે તે માટે અમુક લોકો તેને તરત જ પ્રેગ્નેન્ટ કરી નાખે છે. એક વખત બાળકની માતા બની ગયા બાદ પછી તે કંટ્રોલમાં આવી જાય છે. પછી તેની સાથે અમુક પતિઓ ગુલામ જેવું વર્તન કરે છે. જે મહિલા વિરૂદ્ધ હિંસાની શ્રેણીમાં આવે છે. કેમ કે હિંસા માત્ર શારીરિક જ નથી હોતી પણ તેમાં ભાવનાત્મક, યૌન અને મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર પણ સામેલ છે.
આ પ્રવૃત્તિના રોકથામ પર કાનૂન એક્સપર્ટનું માનવુ છે કે, આવા કેસમાં મહિલાના નિવેદન પર બધું નિર્ભર કરે છે. જો તે મેજિસ્ટ્રેટ સામે એમ કહે કે આ બધામાં તેની સહમતી છે તો પ્રસાશન તેની મદદ ન કરી શકે, ભલે તેને 5-6 વખત વેચવામાં આવી હોય. પંરતુ જો મહિલા સગીર હોય તો પોલીસ તરત જ એક્શન લઈ શકે છે. આ માટે સગીર સહમત હોય તો પણ કાર્યવાહી થઈ શકે છે. જો આરોપી સામે માનવ તસ્કરીના કેસનો ગુનો સાબિત થાય આજીવન કેદ કે ફાંસીની પણ સજા થઈ શકે છે.