કેવડિયાઃ 3,000 કરોડના ખર્ચે કેવડિયામાં બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’માંથી વરસાદના પાણી ટપકવા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં હજુ માંડ 2 ઇંચ વરસાદ થયો છે, ત્યાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના ઉપરના ભાગે આવેલી વ્યૂઇંગ ગેલેરીની છત, મ્યૂઝિયમ અને અન્ય રૂમોમાંથી પાણી ટપકવા લાગ્યું છે. આ અંગે એલ.એન્ડ.ટી અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના CEO તાબડતોબ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ટપકતા પાણીના પ્રશ્નને ડિઝાઇનનો ભાગ ગણાવી હાસ્યાસ્પદ ખુલાસો કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, પાણીની સમસ્યાથી નુકસાન થતું નથી, છતાં તકેદારી રખાશે. ઉલ્લેખનીય છે કે, ગત 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું ઉદ્ઘાટન કર્યું હતું.
‘પ્રવાસી નયન રમ્યો દ્રશ્યોનો આનંદ માણી શકે તે હેતુથી ગેલેરીની રચના કરી’
આ સિવાય અધિકારીઓએ કહ્યું કે, સોમવારે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના મેન્ટેનસ માટે રજા રાખવામાં આવે છે. તેમજ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર હાસ્યાસ્પદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરીની અંદર પવન દ્વારા વરસાદી પાણી ફૂંકાય છે. પ્રવાસી નયન રમ્યો દ્રશ્યોનો આનંદ માણી શકે તે હેતુથી ગેલેરીની રચના કરવામાં આવી છે. ભરાયેલા પાણીનું મેન્ટેનન્સ ટીમ તુરંત નિકાલ કરી રહી છે.
આ પ્રતિમા નર્મદા નદીનાં પટ પર સાધુ હિલ પર સરદાર સરોવર ડેમમાંથી અંદાજે 3.5 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ પર સ્થિત છે. માળખાનાં આધારનું નિર્માણ 19 ડિસેમ્બર, 2015નાં રોજ શરૂ થયું હતું અને સંપૂર્ણ નિર્માણમાં ફક્ત 33 મહિના લાગ્યાં હતાં. જેમાં 180,000 કયુ.મેટ્રિક સિમેન્ટ કોન્ક્રીટ, 18,500 ટનનું રિઇન્ફોર્સ સ્ટીલ, 6,5૦૦ ટન સ્ટ્રક્ચર્ડ સ્ટીલ, 1,7૦૦ ટન બ્રોન્ઝ અને 1,850 ટન બ્રોન્ઝ ક્લેડિંગનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાનું માળખું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે આમ છતાં ચોમાસામાં ડિઝાઈનની પોલ ખુલી ગઈ હતી.