નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ની પેટર્ન પર હવે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દેશભરનાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વેપારીઓ અને તેમના ત્યાં કાર્યરત કર્મચારીઓનો એક ડેટા તૈયાર કરી વેપારીઓનું વસ્તી રજિસ્ટર બનાવશે. દેશભરના વેપારીઓની પ્રાથમિક સમસ્યાઓની યોગ્ય રીતે સરકાર સમક્ષ રજૂઆત કરી શકાય અને સરકાર આ ડેટાના આધારે વેપારીવર્ગ માટે નવી નીતિ બનાવી શકે તે માટે CAIT દ્વારા આ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે.
- CAIT દ્વારા આ રજિસ્ટર તૈયાર કરાશે
- અભિયાન ૧ માર્ચથી શરૂ થશે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે
- 45 કરોડ લોકોને રોજગાર અપાય છે
CAITના જણાવ્યા અનુસાર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલના સૂચન પર વેપારીઓનું વસ્તી રજિસ્ટર તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. CAIT દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે ગોયલનું સૂચન અત્યંત તાર્કિક છે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે એનએસએસઓના એક સર્વે અનુસાર દેશમાં લગભગ સાત કરોડ જેટલા નાના વ્યવસાય છે અને તેના દ્વારા 45 કરોડ લોકોને રોજગાર આપવામાં આવે છે.
આ વ્યવસાય દ્વારા દર વર્ષે લગભગ રૂ. 45 લાખ કરોડનો વ્યાપાર કરવામાં આવે છે. દેશના અર્થતંત્રના આટલા મહત્ત્વપૂર્ણ સેક્ટર માટે આજ સુધી કોઇ સરકારે તેનો ડેટા તૈયાર કરવા માટે એક પણ પગલું ભર્યું નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે CAITનું આ રાષ્ટ્રીય વ્યાપારી જનસંખ્યા અભિયાન 1 માર્ચથી શરૂ થશે અને ૩૦ સપ્ટેમ્બર સુધી દેશભરમાં ચાલશે.
CAIT વેપારીઓના ડેટા એકત્ર કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન બનાવશે, જેના દ્વારા દેશભરના વેપારી તેમના ડેટા રજિસ્ટર કરાવી શકશે. દેશભરનાં 40 હજાર જેટલાં વેપારી સંગઠનની મદદથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.