કોરોનાના વધતા કેસ વચ્ચે રાજસ્થાનના 8 જિલ્લામાં રવિવારે રાતથી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. શનિવારે રાતે યોજાયેલી ઈમરજન્સી કેબિનેટ મીટિંગ પછી જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર, અજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાતે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માસ્ક ન પહેરવા માટે હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આ પહેલા 200 રૂપિયા હતો. અશોક ગેહલોતે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે.
- બસ, ટ્રેન, પ્લેનમાં મુસાફરી સહિત ઈમરજન્સી સર્વિસ ચાલુ રહેશે.
- શોપિંગ મોલ, બજાર વગેરે સાંજે સાતથી બંધ કરાવી દેવાશે.
- શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય પણ ટાળી દેવાયો છે.
- લગ્નમાં 100થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે.
- નાઈટ કર્ફ્યૂ વાળા જિલ્લામાં 100થી વધુ કર્મચારીઓ વાળી ઓફિસનો 25% સ્ટાફ વર્ક ફ્રોમ હોમમાં કામ કરશે. બાકીનો સ્ટાફ રોટેશન પર આવશે.
શનિવારે કોરોનાના 3 હજાર કેસ નોંધાયા
રાજસ્થાનમાં શનિવારે 3 હજાર કેસ નોંધાયા હતા. જયપુર અને જોધપુરમાં જ 995 કેસ છે. રાજ્યના ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જો કે, આનાથી લગ્ન, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ આવતા લોકોને અલગ રાખવામાં આવ્યા છે. શાળા-કોલેજમાં પરીક્ષા આપનાર પણ આનાથી પ્રભાવિત નહીં થાય.
દર્દીઓના આંકડા છુપાવવા ગુનો : ગેહલોત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું રાજ્યમાં કોરોના દર્દીઓના આંકડા સરકાર જાહેર કરી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા કોણ છુપાવવા માંગશે? છુપાવવાથી બિમારીની ખબર નહીં પડે. રાજ્યમાં કોરોના અંગે પારદર્શી રીતે કામ કરવાના આદેશ છે. કોરોના દર્દીઓનો આંકડો છુપાવવો તો જોખમી છે. આ કોઈ ગુનાથી ઓછું નથી.
શનિવાર, રવિવારે લોકડાઉનનું સૂચન
મંત્રીપરિષદની મીટિંગમાં એક મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે લોકડાઉન લગાવવામાં આવે, જેનાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ મળે. જો કે, આ અંગે વધુ ચર્ચા ન થઈ શકી અને સહમતિ પણ ન બની શકી.