નવી દિલ્હીઃ દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય દોષીતો માટે ત્રીજાવાર ડેથ વોરંટ જારી કરતા ફાંસી માટે 3 માર્ચના સવારે 6 કલાકનો સમય નક્કી કર્યો છે. 3 માર્ચે દોષીતોને ફાંસી થશે જ, તે ચોક્કસપણે હજુ ન કહી શકાય કારણ કે દોષીતોના વકીલે દાવો કર્યો છે કે, હજુ તેની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાક્કી છે.
દેશને હચમચાવી નાખનાર 2012ના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા મેળવેલ દોષી કાયદાની નાની નાની ભૂલ શોધીને તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કાયદાની સાથે દોષીતોની રમત ત્યાં સુધી ચાલું છે કે ટ્રાયલ કોર્ટે એક નહીં, બે નહીં પરંતુ ત્રીજી વાર ડેથ વોરંટ જારી કર્યું છે.