બોલિવૂડને દૃશ્યમ અને મદારી જેવી શાનદાર ફિલ્મો આપનારા ડાયરેક્ટર નિશિકાંત કામતની હાલત અત્યારે ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ એક સત્તાવાર નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. નિશિકાંતને 31મી જુલાઈએ કમળો થયો હતો અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હૈદરાબાદની એઆઇજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને લીવરની ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું હતું.
ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે
હોસ્પિટલે જણાવ્યું હતું કે ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે જેમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, હેપટોલોજીસ્ટ ઉપરાંત કેટલાક સિનિયર સલાહકારો સામેલ છે. તેમની સ્થિતિ ગંભીર છે પરંતુ સ્થિર છે.
બોલિવૂડમાં સારા ડાયરેક્ટરમાં સ્થાન
કામત બોલિવૂડમાં સારા ડાયરેક્ટરમાં સ્થાન ધરાવે છે. તેમણે અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ દૃશ્યમ, ઇરફાનની મદારી અને જ્હોન અબ્રાહમની ફોર્સ અને રોકી હેન્ડસમ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.