વડોદરાઃ નોન આલ્કોહોલિક બિયરના વેચાણ માટે વડોદરાની ડીલરશીપ ધરાવતી એજન્સીમાં પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડી રૂા.2.27 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો અને આઠ સેમ્પલ પણ લીધા હતા. શહેરમાં નોન આલ્કોહોલિક બિયરનુ વેચાણ કરવા માટે ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે અને તેમાં વડોદરાની હોલસેલર એજન્સી ગોરવા વિસ્તારમાં આવેલી છે. માં શક્તિ ટ્રેડીંગ કંપનીના નામે ગોરવામાં નોન આલ્કોહોલિક બિયરનો જથ્થો સંગ્રહિત કરવામાં આવતો હતો અને ત્યાંથી જુદી જુદી છુટક એજન્સી કે જે ફ્રેન્ચાઇઝીને પૂરી પાડવામાં આવતી હતી.
ફૂડ વિભાગે પાડ્યાં હતા દરોડા
ગાંધીજીના ગુજરાતમાં નોન આલ્કોહિલક બિયરનો બિઝનેસ શરૂ થતાં રાજય સરકારની સૂચનાથી પાલિકાના ફુડ વિભાગે તપાસણી શરૂ કરાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આવી બિયરની હાટડીઓ ખુલી જતાં સરકારે તેની ગંભીરતા લીધી હતી. પાલિકાના ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યની સૂચનાથી ફુડ ઇન્સ્પેકટરોની ટુકડીએ ગોરવાની માં શકિત ટ્રેડીંગ કંપનીમાં દરોડા પાડયા હતા. જેમાં,હેલી કેન, વેનપુર,એસ્ટ્રેલા,બેવેરિયા(એપલ,સ્ટ્રોબેરી,મેંગો ફલેવર),એડમિસ્ટર, પ્રિમીયમ-નોન આલ્કોહોલિક બીયરના રૂા.2,27,270ની કિંમતના 2987 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા અને તેના આઠ નમૂના પૃથ્થકરણ અર્થે લઇને પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.