સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UG સેમેસ્ટર 6માં વિદ્યાર્થીઓને એટીકેટીના લીધે વર્ષ ના બગડે તે માટે રીમીડિયલ પરીક્ષા લેવાનો 2017માં યુનિવર્સિટીએ નિર્ણય લીધો હતો. આ પરીક્ષાની ફીમાં 500 રૂપિયા વધારે લેવાતા હોવાનું ચાર દિવસ પહેલા બહાર આવ્યું હતું. આથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ કોંગ્રેસ અને NSUI વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ફી વધારા અંગે વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં હાય રે કુલપતિ હાય હાયના નારા લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસે કુલપતિને લેખિત રજુઆત કરી હતી.
ખોટી ફીના ઉઘરાણા કર્યા બાદ બધા પોતપોતાના લૂલા બચાવ માટે એકબીજાને ખો આપી રહ્યા છે
કોંગ્રેસે કુલપતિને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, જે તે સમયે આ નિર્ણય લેનાર કુલપતિએ સિન્ડીકેટમાં ઠરાવ કર્યા વગર નિયમ વિરૂદ્ધ ફી વધારો કર્યા બાદ આજ સુધી યુનિવર્સિટીના સત્તાધિશો અને તમામ સિન્ડીકેટ સભ્યો મૂંગા મોઢે વિદ્યાર્થીઓ પાસેથી ખોટી ફીના ઉઘરાણા કર્યા બાદ બધા પોતપોતાના લૂલા બચાવ માટે એકબીજાને ખો આપી રહ્યા છે. આ બાબત ખૂબ જ નિંદનીય છે. હાલ કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાના બદલે પરીક્ષા ફીના નામે પૈસા ખંખેરવાની નીતિ વિદ્યાર્થીઓ માટે પડ્યા પર પાટા સમાન છે. ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે કે આ પરીક્ષા ફીમાં કરેલો વધારો પરત ખેંચી નિયમ મુજબ જ ફી લેવામાં આવે. તેમજ છેલ્લા ચાર વર્ષથી નિયમ વિરૂદ્ધ ઉઘરાવેલી પરીક્ષા ફીની રકમ તમામ પરીક્ષાર્થીઓને પરત આપવામાં આવે.
કોંગ્રેસ અને NSUIના મોટી સંખ્યામાં કાર્યકરો આ વિરોધમાં જોડાયા હતા
આ રજુઆતમાં કોગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત, NSUIના પ્રદેશ ઉપપ્રમુખ સુરજભાઈ ડેર, જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તમેજ લેખિતમાં કરેલા સવાલોમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પાસે 300 કરોડ FD છે, તેમાંથી વિદ્યાર્થી કલ્યાણ માટે કેટલા વપરાય છે? 100 ડેવલપમેન્ટ ફી પ્લસ 10 રૂપિયા સ્પોર્ટસ ફી દરેક વિદ્યાર્થી એડમિશન લેતી વખતે ભરે છે તો તેનો ઉપયોગ વિદ્યાર્થી હિતમાં કરાય છે? હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવો જોઈએ. થેલેસેમિયા ટેસ્ટ ખૂબ જરૂરી છે તે કરાતો નથી, શા માટે? બાધકામ પાછળ આડેધડ ખર્ચ કરવામાં આવે છે. તેના બદલે વિદ્યાર્થીઓ પાસે ફી ઓછી લ્યો.