કોરોનાને કારણે સતત બીજું વર્ષ એવું છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ઘરે ઘરે મોબાઈલ,ટેબ્લેટ અને લેપટોપનો વપરાશ વધ્યો છે.ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂ. 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. જેમાં 70 ટકા વર્ગ લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા જ વર્ગ એવો છે કે જે રોકડેથી ખરીદી કરે છે. તેમ રાજકોટ મોબાઈલ ડીલર એસોસિએશનના પ્રમુખ રૂષિભાઈ વ્યાસ જણાવે છે.
કોરોના પહેલા વાલીઓને પુસ્તક, સ્ટેશનરી ખરીદી માટે બજેટ ફાળવતા હતા તેના બદલે હવે ગેજેટની ખરીદી માટે ફાળવે છે. મોટાભાગના વાલીઓએ મોબાઈલ અને ટેબ્લેટ ખરીદી માટે રૂ. 8 હજારથી લઈને રૂ.15 હજાર સુધીનું જ પોતાનું બજેટ ફાળવ્યું છે. જોકે ઓનલાઈન એજ્યુકેશન માટે ગત વર્ષની સરખામણીએ મોબાઈલ માર્કેટમાં 30 ટકા જ વેપાર થયો છે.
બ્રાન્ડ ભુલાઈ, હવે પ્રાઈઝ અને લોંગ લાઇફને ધ્યાને લેવાય છે
વિરલ સોનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જ્યારે લોકડાઉન ખુલ્યું હતું ત્યારે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટની ખરીદી માટે વર્ગ જોવા મળ્યો હતો, પરંતુ બીજા શૈક્ષણિક વપરાશ માટે જ્યારે મોબાઈલની ખરીદી થાય છે ત્યારે વાલીઓ લોંગ લાઈફ અને પ્રાઈઝ ફેક્ટર જોવે છે.વાલીઓમાં એવું વલણ જોવા મળે છે કે તે જે ગેજેટની ખરીદી કરે એ લોંગ ટાઈમ ચાલવી જોઈએ. જેથી કરીને તેના પર આવતા બિનજરૂરી ખર્ચથી બચી શકાય.
ગયા વર્ષે 70% રોકડેથી ખરીદી હતી, સ્ટોક ખૂટી પડ્યો હતો
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઘરમાં માતા- પિતા કે મોટા ભાઈ બહેન પાસે મોબાઇલ હોય તેનાથી જ કામ ચલાવી લેતા હોય છે, પરંતુ કોરોનાને કારણે ગત વર્ષથી જ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થતા વિદ્યાર્થીઓને પોતાના પર્સનલ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટની જરૂરિયાત ઊભી થઇ. જેને કારણે એકસાથે ખરીદી નીકળતા એક તબક્કે મોબાઈલની દુકાનમાં સ્ટોક ખૂટી પડ્યા હતા. વેઈટિંગમાં ઓર્ડર હતા, પરંતુ આ વખતે મોબાઈલના ડીલર્સે એડવાન્સમાં જ સ્ટોક કરી લેતા દરેકને પોતાના બજેટમાં ગેજેટ મળી રહ્યા છે. ગયા વર્ષે 70 ટકા ખરીદી રોકડેથી થઈ હતી.