ગોધરામાં ગેયકાયદે રહેતા પાકિસ્તાની નાગરિકને દેશ નિકાલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો. મૂળ પાકિસ્તાની નાગરિક અકીલ વલીભાઈ પીપલોદવાલાએ (મૂળ રહે કરાંચી) વર્ષ 1991-92 ના અરસામાં પાકિસ્તાન પાસપોર્ટ અને ભારતના વિઝા પર આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન પરત જવા માંગતા ન હતા. જેથીગોધરાના સીવીલ જજ (સી.ડી) ની કોર્ટમાં દાવો દાખલ કરી કોર્ટ પાસેથી સરકારથી પોતાને ડીર્પોટ કરે નહીં પોતે કેન્દ્ર સરકારમાં સીટીઝન શીપ એકટની કલમ 9(૨) મુજબની અરજી કરી યોગ્ય નિર્ણય મેળવે નહી ત્યાં સુધી તેઓને સરકાર ભારત દેશમાંથી કાઢી ન મુકે તે પ્રમાણેની દાદ માંગી હતી. જે તે સમયે આ દાવો ગોધરાના સીવીલ જજ (સી.ડી)ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા વર્ષ 1999 માં આ પાકિસ્તાની નાગરિકનો દાવો મંજુર કરાયો હતો.
તેમને ભારત દેશમાંથી પાકિસ્તાન યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય મોકલવા નહી તેવો મનાઈ હુકમ સરકારને આપ્યો હતો. જેથી આ હુકમ થતાં જે તે સમયે સરકાર દ્વારા જિલ્લા અદાલતમાં હુકમ વિરુધ્ધ અપીલ દાખલ કરાઇ હતી. તે અપીલ હાલ પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોરની દલીલો તથા કેસનું રેકર્ડ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા તૈયાર માહીતી પત્રકને ધ્યાને લઈ અને પાકિસ્તાની નાગરિક દ્વારા જે દસ્તાવેજો રજુ કરાયા તે જોતાં તેમાં રજુ થયેલ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટને જોતાં તેમાં પણ અકીલ વલીભાઈ પીપલોદવાલાનું કાયમી સરનામું કરાંચી, પાકિસ્તાનનું છે તથા તેના પિતાનું પણ સરનામું કરાંચી, પાકિસ્તાનનું જણાવ્યું છે અને આ કામે જે કોઈ દસ્તાવેજો આ પાકિસ્તાની નાગરિકે રજુ કરેલા તે પણ દાવો કરવા માટે ઉપજાવી કાઢેલો હોય તેવું જણાય છે એવું ધ્યાને આવતા કોર્ટ દ્વારા સરકારની અપીલ મંજુર કરવામાં આવી હતી.