કોરોના કાળમાં છેતરપિંડીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. બેન્કના મહિલા કર્મચારીએ સ્ટેટમેન્ટ મેળવવા માટે એસબીઆઈ કસ્ટમર કેરનો ફોન નંબર ઓનલાઈન સર્ચ કરીને મેળવ્યો હતો. આ નંબર કટ થયો ન બીજા નંબરથી સક્રિય થયેલા ગઠિયાએ 1.28 લાખનું ઈ-ચિટિંગ કર્યું હતું.
જ્યારે, ચાંદખેડામાં સ્કીમ નહોતી ત્યાં દુકાન બૂક કરી તેમજ ફોન પર આઠ એસી મગાવી ઈ-પેમેન્ટ કરવાની ખાતરી આપ્યા પછી ફોન બંધ કરી પૈસા નહીં ચૂકવી ઠગાઈ કરવામાં આવી છે. જ્યારે, વડોદરાની કંપની સાથે અમદાવાદ ઓફિસના કર્મચારીએ 31 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
– બેન્ક કર્મચારી મહિલા સાથે 1.28 લાખનું ઈ-ચિટિંગ : થલતેજમાં રહેતા શિબીના જીતેન્દ્ર યાદવ ખાનગી બેન્કમાં નોકરી કરે છે. શિબીનાને પોતાના એસબીઆઈના એકાઉન્ટનું છ મહિનાનું સ્ટેટમેન્ટ જોઈતું હવાથી ઓનલાઈન કસ્ટમર કેરનો નંબર મેળવીને ફોન લગાવ્યો હતો. વાતચિત થતી નથી તેમ કહીને બાદમાં બીજા નંબરથી ફોન કરી સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, એસબીઆઈ બેન્કના કસ્ટમર કેરમાંથી વાત કરૂં છું.
આ વ્યક્તિએ કહેતાં શિબીનાબહેનને એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. છ મહિનાનું ટ્રાન્ઝેક્શન માગતા આ વ્યક્તિએ ગુગલ પે ઉપર જઈને પૈસા ભરવા જણાવ્યું હતું. એક વખત 49123 પે કરતાં જ શિબિનાના એકાઉન્ટમાંથી પૈસા કપાવા લાગ્યા હતા. ટૂકડે ટૂકડે 1,28,623 રૂપિયા કપાઈ જતાં શિબિનાએ સામેવાળા વ્યક્તિને પૈસા પરત કરવા કહ્યું હતું.
જો કે, એ શખ્સે શિબિનાના એચડીએફસી બેન્કના ખાતાની વિગત માગી હતી અને પૈસા તેમાં ટ્રાન્સફર કરશે તેવી વાત કરી હતી. જો કે, શિબિનાએ વિગતો આપી નહોતી. આ રીતે સ્ટેટમેન્ટ મેળવવા કસ્ટમર કેરનો ઓનલાઈન નંબર મેળવવા જતાં મહિલા બેન્ક કર્મચારી સાથે 1.28 લાખની છેતરપિંડી થઈ છે.વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
– સ્કીમ વગર જ દુકાન બૂક કરી 20 લાખની છેતરપિંડી: ભાવનગરમાં રહેતા પારૂલબહેન દિલીપભાઈ ત્રિવેદીના બન્ને પુત્ર મેલબોર્ન રહે છે અને પતિ ગત સપ્ટેમ્બર-2020માં મૃત્યુ પામ્યા છે. એક વર્ષ પહેલાં પારૂલબહેને અમદાવાદમાં દુકાન લેવી હોવાથી એસજી હાઈવે પર ગણેશ મેરેડિયનમાં સીગનીસ રિયલ્ટી એલએલપીના આલોક જોષી અને તેમના પત્ની પંખિની જોષીનો સંપર્ક કર્યો હતો.
આ સમયે પતિ, ઓસ્ટ્રેલિયાથી આવેલા પુત્ર ભાવિન અને તેની પત્ની સાથે ઓફિસ પર મુલાકાત લીધી હતી. ચાંદખેડામાં પાર્શ્વ ઈન્ફ્રા. પ્રા.લિ.ના પ્રોજેક્ટમાં દુકાન અપાવવાની વાત કરી બ્રોશર બતાવવામાં આવ્યું હતું. દુકાન નંબર 509 પસંદ પડતાં તેના 29 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. વર્ષ 2020 સુધીમાં પ્રોજેક્ટ પુરો થશે અને ત્યારે પઝેશન આપી દસ્તાવેજ કરી આપવામાં આવશે તેમ જણાવાયું હતું.
પતિ દિલીીપભાઈનું અવસાન થયાના વીસેક દિવસ પછી પારૂલબહેને ફોન કરતાં આલોકભાઈએ કહ્યું હતું કે, દિવાળી પછી રેરા પાસ થઈ જવાનો છે એ પછી પઝેશન મળશે. વિશ્વાસ ન આવતાં પારૂલબહેને ઈન્ટનેટ ઉપરથી પાર્શ્વ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના માલિક રોનકભાઈ પટેલનો મોબાઈલ નંબર મેળવીને વાત કરી હતી. તેમણે આવો કોઈ પ્રોજેક્ટ (સ્કીમ) તેમના હસ્તક નહીં હોવાની વાત કરી હતી.
છેતરપિંડી થયાનું જણાતાં આલોકભાઈને વાત કરતાં તેમણે પૈસા પાછા આપી દઈશ તેમ જણાવ્યું હતું. તા. 1 ઓક્ટોબરે ઓફિસે જતાં લેટરપેડ પર અન્ડરટેકીંગ આપ્યા પછી 8.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ, 20.50 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવાતા સોલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
– ફોન પર આઠ એસી ખરીદી લઈ ઈ-પેમેન્ટ નહીં કરી ચિટિંગ: આશ્રમ રોડ ઉપર રહેતા ધવલ નરેન્દ્રભાઈ શાહને એરકન્ડીશનરની ડીલરશીપ ધરાવે છે. તા. 21 જુનના રોજ વિજયભાઈ નામની વ્યક્તિએ આઠ એરકન્ડિશનર ખરીદવાની વાત કરી હતી. હાલોલ ખાતે એસી પહોંચાડવાની વાત કરી હતી. ટેમ્પોમાં એસી લઈ જશે અને 2.68 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવાશે તેમ કહેવાયું હતું.
ધવલભાઈએ એસી ફીટ કરવા માટે માણસ મોકલ્યો ત્યારે સમર્થ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના માલિકે પોતે કોઈ એસી મગાવ્યા નહીં હોવાનું કહ્યું હતું. તપાસ કરતાં ખબર પડી હતી કે, ટેમ્પો ભાડે કરીને એસી બરોડા હાઈવે ઉપર સુરમ્ય રેસીડન્સીના અજાણ્યા સૃથળે ઉતારી લેવાયા હતા. એસી મગાવનાર વિજય નામના શખ્સનો મોબાઈલ નંબર બંધ આવતો હતો. આ રીતે ફોન ઉપર આઠ એસી મગાવી 2.68 લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.
– પાઈપ વેચી દઈ કંપની સાથે 31 લાખની ઠગાઈ:જીન્દાલ સ્ટેનલેસ કોર્પોરેટ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રા.લિ.ના જનરલ મેનેજર વિકાસ સુદએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની કંપની સાથે 31 લાખ રૂપિયાની ઠગાઈ કરવા બદલ નવરંગપુરા બ્રાન્ચમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે કામ કરી ગયેલા રૂપલ ભાઉ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, રૂપલ ભાઉએ વર્ષ 2016માં કંપનીના પાઈપ અમદાવાદ અને રાજકોટની પેઢીઓને વેચેલા માલના પૈસા કંપનીમાં જમા કરાવ્યા નહોતા. પૈસાની ઉચાપત કરવા અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.