કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટરો ખુટી પડ્યા હતા અને તેના કારણે પણ સેંકડો લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા.
હવે કોલકાતાના એક વૈજ્ઞાનિક રામેન્દ્ર લાલ મુખરજીએ એક વિશેષ પ્રકારની શોધ કરી છે.તેમણે ઓક્સિજનની જરુરિયાતવાળા દર્દીઓ માટે એક પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કર્યુ છે.જેનુ વજન માત્ર 250 ગ્રામ છે.બેટરીથી ચાલતા આ વેન્ટિલેટરનો ઉપયોગ દરેક વયના લોકો કરી શકે છે.ખાસ વાત એ છે કે, તેની બેટરની મોબાઈલ ચાર્જરથી પણ ચાર્જ કરી શકાય છે અને ચાર્જ કર્યા બાદ આઠ કલાક સુધી વેન્ટિલેટર ચાલે છે.
મુખરજી કહે છે કે, કોવિડની બીજી લહેરમાં મને કોરોના થઈ ગયો હતો અને ઓક્સિજનની શકત જરુર પડી હતી.મારી જેમ બીજા લોકો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યા હતા તે જોઈને વેન્ટિલેટર તૈયાર કરવાનો આઈડિયા આવ્યો હતો.કોરોનાથી સાજા થયા બાદ મેં તેના પર કામ શરુ કર્યુ હતુ અને 20 દિવસની મહેનત બાદ પોકેટ વેન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે.
ન્યૂઝ એજન્સીને તેમણે કહ્યુ હતુ કે, આ ડિવાઈસમાં બે પાર્ટસ છે.એક પાવર યુનિટ અને બીજુ યુનિટ માઉથપીસ સાથે જોડાયેલુ છે.એક વખત બટન દબાવીને પાવર ઓન કરવામાં આવે એટલે વેન્ટિલેટર બહારની હવા ખેંચીને હવા શુધ્ધ કરવાના ચેમ્બરમાંથી પસાર કરે છે અને આ શુધ્ધ હવા માઉથપીસ સુધી પહોંચે છે.હવા શુધ્ધ કરવા માટે ડિવાઈસમાં યુવી ચેમ્બર મુકી છે.તેમાં એક કંટ્રોલર પણ છે.જે ઓક્સિજનની જરુરિયાત પ્રમાણે વેન્ટિલેટરને ચલાવે છે.
તેમનુ માનવુ છે કે, વેન્ટિલેટર કોરોનાના દર્દીઓ ઉપરાંત અસ્થમા અને શ્વાસને લગતી બીજી બીમારીઓથી પિડાતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થશે.તેનાથી ઘણાના જીવ બચી શકશે.
મુખરજીનો દાવો છે કે, પોકેટ વેન્ટિલેટર માટે સંખ્યાબંધ અમેરિકન કંપનીઓએ પણ તેનો સંપર્ક કર્યો છે.