પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સતત ઝટકો લાગી રહ્યો છે. ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 9 મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર પીટીઆઈના નેતાઓ પર સતત કડક કાર્યવાહી કરી રહી છે. જેના કારણે ઈમરાનના નજીકના મિત્રો પાર્ટી છોડી રહ્યા છે. ઈમરાનની સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરી કે મારા અગાઉના નિવેદનમાં જ્યાં મેં 9 મેની ઘટનાઓની સ્પષ્ટ નિંદા કરી હતી, ત્યાં મેં રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે, તેથી મેં પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું છે અને ઈમરાન ખાનથી અલગ થઈ રહ્યો છું. ફવાદ ચૌધરીએ ઈમરાન સરકાર દરમિયાન માહિતી અને પ્રસારણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પાર્ટીના પ્રવક્તા પણ હતા.
અગાઉ, પીટીઆઈના વરિષ્ઠ નેતા શિરીન મજારીએ મંગળવારે તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને એક મોટો ફટકો આપતા પાર્ટી છોડી દીધી હતી અને સંરક્ષણ સંસ્થાઓ પર હુમલો કરનારા ભૂતપૂર્વ વડાપ્રધાનના સમર્થકોની નિંદા કરી હતી. શિરીન મઝારીએ ઈમરાન ખાનના શાસનમાં 2018 થી 2022 સુધી માનવ અધિકાર મંત્રી તરીકે સેવા આપી હતી. શિરીન મજારીએ 12 મે પછી ચોથી વખત ધરપકડમાંથી મુક્ત થયા પછી સક્રિય રાજકારણમાંથી રાજીનામું અને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પત્રકારોને કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત અમારી છેલ્લી આશા છે. લાહોરના જમાન પાર્ક સ્થિત પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજો, દેશ તમારી તરફ જોઈ રહ્યો છે. તમારી એકતા લોકો માટે ખૂબ જ ખાસ છે. હવે એ તમારા પર છે કે પાકિસ્તાન બનાના રિપબ્લિક બની ગયું હોવાથી દેશ અને લોકશાહીને બચાવવા માટે તમે કકક પગલાં ભરો.