પાકિસ્તાન સરકારે કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબનો સંપૂર્ણ વહીવટ સત્તાવાર રીતે શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી પાસેથી આંચકીને એક મુસ્લિમ સંસ્થાને સોંપી દીધો છે, જેનો ભારતે વિરોધ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે પાક.ના આ નિર્ણયથી શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઇ છે.
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે ઇમરાન સરકારની આ હરકતથી તેની અસલ માનસિકતા ઉજાગર થાય છે. ભારતે પાક.ને આ નિર્ણય રદ કરવા કહ્યું છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે કરતારપુર સાહિબ ગુરુદ્વારાનો વહીવટ પાકિસ્તાન શીખ પ્રબંધક કમિટી (પીએસજીપીસી) પાસેથી છીનવીને આઇએસઆઇની સંસ્થા ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડને સોંપી દેવાયો. ઐતિહાસિક ગુરુદ્વારા પર બિન-શીખ સંસ્થાનો અંકુશ હશે. પાક. સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારાને ‘પ્રોજેક્ટ બિઝનેસ પ્લાન’ જાહેર કરી દીધો છે અને તેનો વહીવટ સરકારી ટ્રસ્ટ ઇટીપીબીના 9 અધિકારીની સમિતિને સોંપ્યો છે.