કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર પાર્ટીની વર્કિંગ કમિટિ અને પ્રમુખ પદોની ચૂંટણી કરવાની જરૂર જણાવી છે.આઝાદે ગુરુવારે કહ્યું કે, ચૂંટાયેલા લોકો લીડ કરશે તો પાર્ટી માટે સારુ રહેશે, નહીં તો કોંગ્રેસ આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં જ બેઠી રહેશે. બની શકે છે કે નિમણૂક કરવામાં આવનાર પાર્ટી અધ્યક્ષને 1% લોકોનું સમર્થન ન પણ મળે.
આઝાદે કહ્યું, કોંગ્રેસ વર્કિંગ કમિટિ સહિત, રાજ્યોના પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, બ્લોક અધ્યક્ષના પદો પર પણ ચૂંટણી કરાવવા પર ભાર આપ્યો. સાથે જ કહ્યું કે, જે લોકો ચૂંટણી કરાવવાનો વિરોધ કરી રહ્યા છે. એ લોકોને પોતાનું પદ ગુમાવવાની બીક છે. જે વફાદાર હોવાનો દાવો કરી રહ્યા છે, તે વાસ્તવિકતામાં ગંદુ રાજકારણ કરી રહ્યા છે. આનાથી પાર્ટી અને દેશને નુકસાન થશે.
‘આંતરિક ચૂંટણીમાં 51% વોટ મળે એની જીત થાય છે. જેનો અર્થ એ થયો કે ચૂંટાયેલા અધ્યક્ષના પક્ષમાં 51% લોકો હોય છે.જો કોંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્ય ચૂંટણીથી નક્કી થશે, તો તેને હટાવી ન શકાય, આ વાતમાં વાંધો શું છે?’
આઝાદનું નિવેદન કોંગ્રેસ વર્કિંગ કમિટિની મીટિંગના 3 દિવસ પછી આવ્યું છે. CWCની સોમવારે યોજાયેલી મીટિંગમાં રિઝોલ્યૂશન પાસ કરીને સોનિયા ગાંધીને અપીલ કરવામાં આવી કે જ્યાં સુધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિનું સેશન બોલાવવામાં આવે ત્યાં સુધી તમે જ અધ્યક્ષ તરીકે રહો.
આઝાદ એ 23 નેતાઓમાં સામેલ હતા, જેમણે CWCની મીટિંગ પહેલા સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને પાર્ટીમાં ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની માંગ કરી હતી. મીટિંગમાં એ વાત સામે આવી કે ચિઠ્ઠી લખનાર નેતાઓ પર રાહુલ ગાંધીએ ભાજપ સાથે મિલીભગતનો આરોપ લગાવી દીધો. આ અંગે આઝાદે કહ્યું હતું કે, આરોપ સાબિત થશે તો તે પાર્ટી છોડી દેશે. જો કે, પછી આઝાદે સ્પષ્ટતા કરી કે રાહુલે મિલીભગત જેવી કોઈ વાત નહોતી કરી.