આતંકવાદીઓએ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળી વરસાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પાકિસ્તાન ચોતરફ મુશ્કેલીમાં આવી ગયું છે. હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. આતંકવાદીઓનો ગઢ બનેલું પાકિસ્તાને સબક શિખડાવવા માટે ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે, આ સંધિ સમાપ્ત કરવાનો ભારતે પ્લાન બનાવી દીધો છે, જેને ત્રણ તબક્કામાં લાગુ કરાશે.
પાકિસ્તાન જતું પાણી અટકાવાશે, પ્લાનની તૈયારીઓ શરૂ
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સરકારે સિંધુ નદીના પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ જતો અટકાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટે સિંધુ બેસિન નદીઓ પર બંધોની ક્ષમતા વધારવામાં આવશે. કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરુદ્ધનો આ નિર્ણય ત્રણ તબક્કામાં લાગુ કરવાનો પ્લાન બનાવી રહી છે.
સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરાશે : પાટીલ
જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1… તાત્કાલીક, 2… મિડ ટર્મ અને 3… લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતથી પાકિસ્તાન પાણીનું એકપણ ટીપું ન જાય, તેની સંપૂર્ણ વ્યવસ્થા કરાશે.
સંધિ સસ્પેન્ડ કરવાની વાત સાંભળતા જ પાકિસ્તાન ફફડ્યું
જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (22 એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.