અમદાવાદઃ પીએમ મોદી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર થાય તે માટે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી 28 વિદ્યાર્થી, 6 શિક્ષક અને 6 વાલી સામેલ થયાં છે. જેમાં દરેક રાજ્યના 3૦ વિદ્યાર્થીઓ, 6 શિક્ષકો અને 6 વાલીઓને દિલ્હી MHRD(મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ)ના ખર્ચે લઈ જવાની સૂચના અપાઈ હતી.
ગુજરાત સહિત દેશભરમાં બોર્ડની પરીક્ષા હોય કે, પછી સ્કૂલ લેવલની પરીક્ષા હોય વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે જેને લઈ પીએમ મોદી દ્વારા ગત વર્ષથી ‘પરીક્ષા પે ચર્ચા’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એક ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી હતી. જે ગાઇડ લાઇન પ્રમાણે, દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. જોકે MHRD દ્વારા ગત 10 જાન્યુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો.