પીએમ મોદીએ આજે તામિલનાડુના મદુરાઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરીને ડીએમકે તેમજ કોંગ્રેસને આડે હાથ લીધા હતા.
તેમણે કહ્યુ હતુ કે, દક્ષિણ તામિલનાડુની સંસ્કૃતિ પર આખા દેશને ગર્વ છે. ડીએમકે અને કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી. મતદારો મૂરખા નથી. ડીએમકે અને કોંગ્રેસ પોતાને તામિલ સંસ્કૃતિના રક્ષક ગણાવે છે પણ હકીકત તેનાથી અલગ છે. યુપીએની સરકારે જ તામિલનાડુમાં જલીકટ્ટુ પર બેન મુક્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2016માં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ જલીકટ્ટુ પર બેન મુકવાની વાત કરી હતી. જોકે અમારી સરકારે તામિલ સંસ્કૃતિનુ સન્માન કર્યુ હતુ અને જલીકટ્ટુને ચાલુ રાખવા દીધી હતી. કોંગ્રેસ અને ડીએમકે પાસે જુઠ્ઠાણા ચલાવવાની એક કળા છે. આ ધરતીએ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કર્યા હતા અને દેશને સંખ્યાબંધ મહાપુરુષો પણ આપ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, દાયકાઓ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી અહીંયા સેંકડો લોકો આવ્યા હતા. મદુરાઈના લોકોએ તેમનુ દિલથી સ્વાગત કરીને તેમને અહીંયા જગ્યા આપી હતી. મદુરાઈ ભારતની એકતા અને શ્રેષ્ઠતાનુ પ્રતિક છે. મદુરાઈના લોકોએ હંમેશા એમજી રામચંદ્રમનનો સાથ આપ્યો છે. તેઓ અહીંથી જ જિત્યા હતા. તામિલનાડુમાં એનડીએ સરકાર સુવિધાઓ વધારવા માટે અને રોકાણ વધે તે માટે પ્રયત્નશીલ છે. અહીંના ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. તામિલનાડુમાં 16 લાખ લોકોને પાણીના જોડાણો મળ્યા છે. અમારી સરકાર દરેક ઘરે પાણી પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે. આગામી વર્ષોમાં અહીંયા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.