પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્તક પૂર્ણિમા નિમિત્તે સોમવારે બપોરે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે 6 લેનના ધોરીમાર્ગનું લોકાર્પણ કર્યા બાદ ખજુરીમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વારાણસી પ્રવાસ સમયે તેમની સાથે હતા.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Kashi Vishwanath Temple in Varanasi
Chief Minister Yogi Adityanath also present pic.twitter.com/MF7piTO9zY— ANI UP (@ANINewsUP) November 30, 2020
બાબા વિશ્વનાથ મંદિર પહોંચવા માટે મોદીએ ક્રૂઝની સવારી કરી હતી. ભગવાન અવધૂત રામ ઘાટથી મોદી અને યોગી અલકનંદા ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વિશ્વનાથ કોરિડોરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
વિશ્વનાથ મંદીરથી ક્રૂઝ મારફતે રાજધાટ પહોંચ્યા હતા. અહીં દિપ પ્રાગટ્ય કરી દેવ દિવાળીની શરૂઆત કરશે. આ પવિત્ર પ્રસંગે પથ વેબસાઈટનું લોકાર્પણ પણ થશે. રાજઘાટથી મોદી ક્રૂઝથી રવિદાસ ઘાટ માટે પણ રવાના થશે. ચેત સિંહ ઘાટ પર 10 મિનિટ લેજર શો જોશે.
PM મોદી સાંજે સારનાથ જશે
સાંજે મોદી ભગવાન બુદ્ધની તપોસ્થળી સારનાથ જવા રવાના થશે. અહીં તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ શો જોશે અને ત્યારબાદ બાબતપુર એરપોર્ટથી દિલ્હી પરત ફરશે. PM મોદી આશરે સાત કલાક કાશીમાં રહેશે.
કાશીમાં PM મોદીનો 23મો પ્રવાસ
પ્રધાનમંત્રી તરીકે સંસદીય ક્ષેત્રમાં આ તેમને 23મો પ્રવાસ છે. જ્યારે બીજા કાર્યકાળમાં આ ત્રીજો પ્રવાસ છે. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ કાશી આવ્યા હતા. PM મોદી પ્રથમ વખત દેવ દિવાળી (કાર્તક પૂર્ણિમા) પ્રસંગે આવ્યા છે.
ગત વખત કરતાં દોઢ ગણા વધુ દીપ પ્રગટાવાશે
દેવદિવાળી પર કાશીના તમામ 84 ઘાટ દીપથી રોશન થાય છે. દર વર્ષે લાખો લોકો આ અદભુત નજારાને જોવા માટે આવે છે, પણ કોરોનાના સંકટને કારણે આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત કરી દેવાઈ છે. દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી છે. ગત વર્ષે અહીં 10 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, પણ આ વખતે દીપની સંખ્યામાં 5 લાખનો વધારો કરી દેવાયો છે. 20-25 ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે.