દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પણ રોજે રોજ મોટી સંખ્યામાં લોકોના મોત થવાનુ યથાવત છે.આ સંદર્ભમાં આજે પીએમ નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પોંડીચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.
પીએમ મોદીએ આ ચારે રાજ્યોમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી.આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પીએમ મોદી સાથે કરેલી વાતમાં કહ્યુ હતુ કે, રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યુ છે અને સાથે સાથે પોઝિટિવિટી રેટમાં ઘટાડો પણ થઈ રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.જોકે રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યાં આરોગ્ય કર્મચારીઓની વધારાની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
દરમિયાન મુખ્યમંત્રી બઘેલે પીએમ મોદીને અપીલ કરી હતી કે, રાજ્યમાં વેક્સીનનો સપ્લાય વધારવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રસીના સપ્લાયને લઈને પહેલા પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રને ફરિયાદ કરી ચુક્યા છે. ખાસ કરીને રસીની અછતના કારણે રસીકરણ કેન્દ્રો પણ બંધ કરવા પડી રહ્યા હોવાની ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં છાશવારે ઉઠતી રહી છે.
પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આ મુદ્દો ફરી એક વખત ઉઠયો હતો.