Friday, March 29, 2024
Homeમુલાકાત : PM મોદીએ કેવડિયામાં ઇકો ટુરીઝમ સાઇટ અને જંગલ સફારીનું નિરીક્ષણ...
Array

મુલાકાત : PM મોદીએ કેવડિયામાં ઇકો ટુરીઝમ સાઇટ અને જંગલ સફારીનું નિરીક્ષણ કર્યું, નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરશે

- Advertisement -

કેવડિયાઃ વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. જેમાં મોદીએ ઇકો ટુરીઝમ સાઇટ, રિવર રાફ્ટીંગ, જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. બટર ફ્લાય પાર્કમાં મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરશે

મોદી કેવડિયામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી કરશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને પણ સંબોધશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

મોદીના આગમનને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પીએમ મોદીના કેવડિયામાં આગમનને પગલે એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્રારા રાઉન્ડ ધી કલોક ચેકિંગ હાથ ધરાયુ છે.

100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરાશે

પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરશે અને તે જ વખતે પ્રધાનમંત્રી નર્મદા નીરના વધામણાં કરશે. અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરશે. તે માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી કેવડિયાનો કાર્યક્રમ
-સવારે 8થી 9.30 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ
-સવારે 9.30થી 10.00 વાગ્યે નર્મદા પૂજન કરશે
-સવારે 10થી 11.00 વાગ્યે દત્ત મંદિર,ચિલ્ડ્રન,ન્યુટ્રિશન પાર્કની મુલાકાત
-સવારે 11થી 12.00 વાગ્યે જાહેરસભા સંબોધશે
-બપોરે 1.15થી 2.30 વાગ્યે રાજભવનમાં રોકાણ
-બપોરે 2.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે

‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’માં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે
વડાપ્રધાનના 70માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે. કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.

તમામ જિલ્લા મથકોએ કાર્યક્રમનું આયોજન
નર્મદા ડેમ આજે 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા
રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે.

લોક ગાયકો અને કલાકારો ગીતોની પ્રસ્તુતિ કરશે
જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વશિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular