કૃષિ બિલો પર દેશભરમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ નજીક રાજપથ પર પહોંચ્યા અને ખેડૂત બિલના વિરોધમાં એક ટ્રેક્ટરને ભડકે બાળ્યું હતું. કાર્યકરોએ કેન્દ્ર સરકારના વિરોધમાં નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓ એક ટ્રકમાં ટ્રેક્ટર લઈને આવ્યા અને ઈન્ડિયા ગેટ નજીક તેમા આગચંપી કરી હતી.
આ ઘટના પર વડાપ્રધાને પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું, આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક આપી રહી છે ત્યારે પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકોની ઇચ્છા છે કે દેશના ખેડુતો ખુલ્લા બજારમાં તેમની પેદાશોનું વેચાણ ન કરી શકે. ખેડુતો જે માલ અને સાધનોની પૂજા કરે છે તેને આગ લગાવીને હવે આ લોકો ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમામિ ગંગે’ મિશન હેઠળ ઉત્તરાખંડમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 6 મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને ખેડૂત કાયદા પર ચાલી રહેલા વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, દેશના યુવા સશક્ત થશે, દેશની મહિલાઓ સશક્ત હશે, દેશના ખેડૂત સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે, આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે દેશના ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ઉપજ ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માગતા નથી. ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં MSP રહેશે અને વિપક્ષ જે MSP પર દાવો કરી રહ્યા છે તેઓ ખોટા છે.