પોરબંદર : મહાત્મા ગાંધીજીના બાળપણ પર ‘મોહનદાસ’ ફિલ્મનું શૂટીંગ હાથ ધરાયું છે. મહાત્મા ગાંધીજીના બાળપણ પર આધારીત ફિલ્મનું શૂટીંગ શહેરના વિવિધ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે. જાણીતા કન્નડ દિગ્દર્શક દ્વારા ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સોની વેપારી અગ્રણીને પણ અભિનયની તક મળી છે. બાપુના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે ફિલ્મનું શૂટીંગ થયું હતું. કન્નડ ડાયરેક્ટર પી. શેષાદ્રીની ટીમ શહેરના વિવિધ સ્થળે ‘મોહનદાસ’ નામની ફિલ્મનું શૂટીંગ કરી રહી છે.
ગાંધીજીના બાળપણના વિવિધ પ્રસંગોને આ ફિલ્મમાં આવરી લેવાશે
ગાંધીજીના બાળપણના વિવિધ પ્રસંગોને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી રહ્યા છે. કીર્તિમંદિર, સોનીબજાર, આર.જી.ટી. કોલેજ, ચોપાટી, શિતલા ચોક સહીતના વિસ્તારોમાં શૂટીંગ થઈ રહ્યું છે. કન્નડ ફીચર ફિલ્મ સાથે સંકળાયેલ ભારતીય ફિલ્મ નિર્માતા પી. શેષાદ્રીએ 10 જેટલી ફિલ્મો બનાવી 8 ફિલ્મોને પ્રતિષ્ઠીત નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હોવાનું જણાવ્યું હતું. બાળ મોહનના જીવનના અનેક પ્રસંગો અંગે મોટાભાગના લોકો અજાણ છે. ત્યારે આ ફિલ્મનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો પણ લોકોની સમક્ષ આ ફિલ્મના માધ્યમથી આવશે. આ ફિલ્મનું શૂટીંગ પોરબંદર અને રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ થશે. મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ છે. ત્યારે આ ફિલ્મને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે ફિલ્મને અંગ્રેજી, હિન્દી અને કન્નડ એમ 3 ભાષામાં બનાવવામાં આવી રહી છે.