ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત કાલાવડ અને ધ્રોલ પંથકના કુલ ૧૭ ગામોમાં સાંજે છ વાગ્યા આસપાસથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે રાત્રિના સાડા નવ વાગ્યા સુધીમાં તમામ ગામોમાં સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી, અને મોટા ભાગે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લાના ગઈકાલે પવનના કારણે પાંચ વીજપોલ ધરાશાઈ થયા હતા. જોકે તે તમામ સ્થળે પણ મરામતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી.
જામનગર શહેર અને બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે સાંજે વરસાદ પડતાની સાથે જ એકી સાથે ૨૧ ફીડરમાં ફોલ્ટ આવ્યો હતો, અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી વીજ તંત્રને દોડધામ થઈ હતી. તમામ સ્થળો પર રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ કરી લેવાઈ હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બની ગયો હતો.
ખાસ કરીને જામનગરના પાંચહાટડી વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ટ્રાન્સફોર્મરમાં પાણી અને ઓઇલનું મિશ્રણ થવાના કારણે તણખા ઝરવાના શરૂ થયા હતા, અને છેક ઉપર વાયરો સુધી ભડકા પહોંચવાના કારણે આતશબાજી જેવા દ્રશ્ય સર્જાયા હતા, અને થોડો સમય માટે લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી.
વીજ તંત્રને જાણ થવાથી તુરત જ આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાં સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી અને રાત્રીના ૯.૩૦ વાગ્યા બાદ ત્યાં પણ વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો. આજે સમગ્ર હાલારના બંને જિલ્લામાં વીજ પુરવઠો તમામ સ્થળોએ રાબેતા મુજબ બન્યો છે.