કાઠમંડૂથી. નેપાળમાં વડાપ્રધાન ઓલીના રાજીનામા પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. તેમની જ પાર્ટીના સીનિયર નેતાઓ વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. શનિવારે, રવિવારે અને સોમવારે પણ ઓલીએ તેમના મુખ્ય વિરોધી પુષ્પ કમલ પ્રચંડ સાથે વાતચીત કરીને તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ મીટિંગનું કોઈ પરિણામ આવ્યું નથી. ઓલીને માત્ર એટલી જ સફળતા મળી છે કે, પ્રચંડ મંગળવારે પણ વાતચીત કરવા તૈયાર થયા છે. ઓલી સરકાર બચાવવા માટે ચીન પણ એક્ટિવ થયું છે. નેપાળમાં ચીનના એમ્બેસેડર હોઉ યાંગકી સતત નેપાળ કોમ્યનિસ્ટ પાર્ટી (NCP) નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
આજની મીટિંગ પર નજર
ઓલી અને પ્રચંડ વચ્ચે બપોરથી વાતચીત શરૂ થશે. સોમવારે વાતચીત થઈ પરંતુ તેની માહિતી મીડિયાને આપવામાં આવી નથી. માત્ર એટલું જણાવવામાં આવ્યું છે કે, બંને નેતા મંગળવારે વાતચીત કરવા માટે સહમત થયા છે. તેથી આજે બંને નેતાઓની મીટિંગ પર સૌની નજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રચંડે ઓલીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તેમને રાજીનામું આપવું જ પડશે. જોકે એક ગ્રૂપ એવું પણ છે જે ઈચ્છે છે કે, ઓલી સરકાર બચી જાય. તેથી સમજૂતી થાય તેવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કાલે સ્ટેન્ડિંગ કમીટિની મહત્વની બેઠક
જો આજે ઓલી અને પ્રચંડની વચ્ચે મીટિંગમાં કોઈ નિર્ણય નહીં આવે તો માનવામાં આવે છે કે, આવતી કાલે એટલે કે બુધવારની સ્ટેન્ડિંગ કમીટિની બેઠક ખૂબ મહત્વની રહેશે. આ કમીટિમાં 40 સભ્યો છે. 30થી 33 લોકો ઓલીનું રાજીનામું માંગી રહ્યા છે. માત્ર આટલું જ નહીં, NCPની ત્રણ કમીટિઓમાંથી એક પણ ઓલીના સમર્થનમાં નથી. એટલે સૌથી વધારે શક્યતાઓ એવી જ છે કે, જો ઓલી અને પ્રચંડ વચ્ચે સમજૂતી નહીં થાય તો ઓલીએ રાજીનામું આપવું પડશે.
પાર્ટી ટૂટી પણ શકે છે
માનવામાં આવે છે કે, જો ઓલી રાજીનામું આપવાની ના પાડે તો પાર્ટી ટૂટી પણ શકે છે. એક જૂથ ઓલી અને બીજુ જૂથ પ્રચંડ સાથે જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રવિવારે પ્રચંડે ઓલીને પાર્ટી અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું જેથી, પાર્ટી બચાવી શકાય.
આ કારણથી ઓલીથી નારાજ
પાર્ટી નેતાઓ ઘણાં કારણોથી ઓલીથી નારાજ છે. વડાપ્રધાન કોવિડ-19ને ટક્કર આપવામાં નિષ્ફળ રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપો પર કાર્યવાહી કરી નથી. એક મહત્વનો મુદ્દો ભારત સાથે જોડાયેલો છે. પાર્ટી નેતાનું માનવું છે કે, સીમા વિવાદ વિશે તેમણે ભારત સાથે વાતચીત નથી કરી. એમ પણ ઓલી પાર્ટીના ત્રણેય પ્લેટફર્મ પર નિષ્ફળ સાબીત થયા છે. પાર્ટીના નિયમો પ્રમાણે, જો ત્રણેય પ્લેટફર્મ પર નેતા નબળાં હોય તો તેમનું રાજીનામુ નક્કી છે.