ઓઢવ જીઆઈડીસીની જય કેમિકલ દ્વારા વરસાદી પાણીની લાઇનમાં જ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાતાં મ્યુનિ.એ રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો છે. કંપનીએ વરસાદી પાણીની સાથે જ આ કેમિકલનો નિકાલ કરતા કાર્યવાહી કરાઈ છે.
ઓઢવ જીઆઈડીસીમાંથી નીકળતાં કેમિકલયુક્ત ગંદા પાણીના નિકાલ માટે મેગા પાઇપલાઇન નાખવામાં આવી છે. જોકે તેમાં ઠલવાતા કેમીકલ યુક્ત પાણી માટે કંપનીને ચાર્જ ચુકવવાનો થાય છે. બીજી તરફ ઓઢવ જીઆઈડીસીમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ લગાવાઈ છે. જે પાઇપલાઇન સીધી નિકોલ થઈ ખારીકટ કેનાલના કાંઠે મૂકવામાં આવેલા પંપો મારફતે કેનાલમાં નિકાલ કરવામાં આવે છે.
ગત 22 જૂને પડેલા વરસાદમાં જીઆઈડીસીમાં વરસાદી પાણી રોડ પર ઊભરાયા હતા, જેમાં કેમિકલયુક્ત પાણી હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ બાબતે પૂર્વઝોનના ઇજનેરી સ્ટાફ તેમ જ જીઆઇડીસીના સ્ટાફ દ્વારા તપાસ કરાતાં કેમિકલયુક્ત પાણી જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કેમ્પસમાંથી છોડાયું હોવાનું જણાયું હતું. આ બાબતે પાણી તેમ જ કેમિકલના સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી હતી.