પાલનપુર, અમીરગઢ, વાવ, ડીસાઃ રવિવારે રાત્રે છેવટે મેઘરાજાએ કૃપાદ્રષ્ટિ વરસાવતા ખેડૂતો માટે કાચું સોનું સમાન વરસાદ વરસ્યો હતો. ધાનેરામાં રાત્રે સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત અમીરગઢ, પાલનપુર, વડગામ, લાખણીમાં સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, સોમવારે દાંતા, ડીસા સિવાય ક્યાંય દિવસે વરસાદ પડ્યો નહતો.
પાકોને જીવતદાન મળી જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો
રવિવારે દિવસભર ભારે ઉકળાટ અનુભવાયા બાદ સાંજે વરસાદી માહોલ જામ્યો હતો અને ધાનેરા, પાલનપુર, વડગામ, અમીરગઢ, લાખણીમાં સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતોના ઉભા પાકોને જીવતદાન મળી જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. વરસાદના અભાવે ઘાસચારાની તંગી પણ વધી જતાં પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યાં હતાં. જોકે હવે મેઘરાજાના આગમન બાદ સારા વરસાદનો આશાવાદ સર્જાતા પશુપાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદ ખેડૂતો માટે કાચા સોનું સમાન હતો. સોમવારે દાંતા અને ડીસામાં વરસાદ પડ્યો હતો.
ધરાધરા ગામે વીજળી પડતાં ભેંસનું મોત
વાવપંથકમાં રવિવારની રાત્રિ દરમિયાન તોફાન અને વીજળીના કડાકા સાથે આવેલા વરસાદમાં ધરાધરા ગામે રહેતાં સેધાભાઈ ગોવિંદભાઈ પટેલના ખેતરમાં ઘર નજીક બાંધેલી ભેંસ પર વીજળી પડતા ભેસનું મોત થતાં પરિવારજનો અરેરાટી વ્યાપી ગઈ હતી.
અમીરગઢમાં વરસાદથી ખેડૂતોમાં ખુસી વ્યાપી ગઇ હતી. 20 દિવસથી મેઘરાજા રાહ જોવડાવ્યા બાદ મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અમારે વાવેલ પાકો જીવિત થયા છે.વરસાદ ના આવે તો અમારી ખેતી હવે નષ્ટ થવાના આરે હતી. આ વરસાદે અમારી ખેતીને જીવિત કરી છે પરંતુ આ વરસાદથી ખેતી જીવિત થઇ છે પૂરતો વરસાદ પડ્યો નથી.’
બાયડ અને માલપુરમાં અઢી ઇંચ વરસાદ : 3 પશુના મોત, પાટણમાં પોણો ઇંચ વરસાદ
અરવલ્લીના બાયડ, ધનસુરામાં અઢી ઇંચ, હિંમતનગર, ધનસુરા અને ધાનેરામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાંચેય જિલ્લામાં હળવા ઝાપટાંથી લઇ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.આથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ઉ.ગુ.ના 2 જિલ્લામાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 25 જુલાઇ સુધી બનાસકાંઠા અને સાબરકાંઠામાં હજુ હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં માત્ર ઝાપટાં રૂપી વરસાદની શક્યતા દેખાઇ રહી છે. 26 જુલાઇએ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા લાગી રહી છે.