રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા કેર સેન્ટર બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડીંગના 5માં માળે છજા પર રહેલા કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે સતર્કતાના કારણે તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોક આગ લાગતા જ દર્દીઓના જીવ થોડીવાર માટે તાળવે ચોટી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં ઉદય શિવાનંદ અગ્નિકાંડ થતા રહી જતા તંત્રએ પણ રાહત અનુભવી છે.
ટ્રોમાં કેર સેન્ટર બિલ્ડીંગને કોવિડમાં ફેરવાઇ છે
રાજકીય નેતાઓની રાજકોટ મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર થતી જતી હોવાનું જણાતા સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમાં કેર સેન્ટર બિલ્ડીંગને કોવિડમાં ફેરવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટ ટ્રોમા કેર સેન્ટરને બે દિવસ પૂર્વે કોવિડમાં ફેરવી દેવામાં આવ્યો છે અને આ બિલ્ડીંગમાં નવા 200 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. આજે આગ લાગવાની ઘટના મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કાબૂ મેળવી લેવામાં આવતા રાજકોટ પરથી મોટી દુર્ઘટના થતા ટળી છે.
ચાર મહિના પહેલા ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 6 દર્દી ભડથુ થયા હતા
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ચાર મહિના પહેલા રાત્રે ICUમાં આગ લાગી હતી, જેમાં કોરોનાના 5 દર્દી ભડથું થતાં મોતને ભેટ્યા હતા. કમનસીબે આ પાંચ દર્દીનાં પરિવારજનોએ રાત્રે જ તેમની સાથે વાત કરી અને સવાર પડતાં જ પાંચેયે અનંતની વાટ પકડી લીધી હતી. પાંચેય મૃતકની ઉંમર 50થી 70 વર્ષની વયની હતી. એમાં એક તો નિવૃત્ત પોલીસમેન હતા. જોકે થોડા દિવસ બાદ વધુ એક દર્દીનું સારવારમાં મોત થતા મૃત્યુઆંક 6 થયો હતો. આ ઘટનામાં પોલીસે જવાબદાર પાંચ ડોક્ટરની ધરપકડ કરી હતી. તેમજ SITન રચના પણ કરવામાં આવી હતી. જોકે હજી સુધી આ ઘટનામાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી.
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કુલ 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાં 11 ICUમાં અને 22 જનરલ વોર્ડમાં હતા. 33માંથી 6 દર્દીના મોત નીપજ્યાં હતાં, જ્યારે બચી ગયેલા 28માંથી 23ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં અને બાકીના 6ને વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.