સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે ત્યારે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહેલી ચૂંટણી હિંસક બની હોવાનું જાણવા મળ્યું છે. શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર આપના કાર્યાલયમાં ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી આપના બે ઉમેદવાર પર હુમલો કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. તોડફોડના પગલે હાલ આ મામલો ઉગ્ર બન્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ કાર્યકરો સાથે પહોંચ્યા હતા ત્યારે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આપના બે ઉમેદવારને ઢીકાપાટુનો માર માર્યાનો આક્ષેપ
શહેરના વોર્ડ નં.8માં લક્ષ્મીનગર મેઇન રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ભાજપના ગુંડા તત્વોએ હુમલો કરી તોડફોડ કરી ખુરશી ભાંગી નાખી ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાગણેચાને ઢીકાપાટુનો માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો એકત્ર થઇ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, બાદમાં પોલીસ દોડી આવતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે પોલીસ દોડી આવી.
પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
તોડફોડ બાદ દોડી આવેલી પોલીસે બંને પક્ષના કાર્યકરોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. હાલ લક્ષ્મીનગર મેઇન રોડ પર બૂથ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ બૂથ બહાર આપના ટેબલ-ખુરશી ભાંગી નાખવામાં આવતા આપના કાર્યકરો રોષે ભરાયા હતા.
આપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.
રાજકોટમાં 78 મતદાન મથક સંવેદનશીલ
રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 78 સંવેદનશીલ બુથ અને 19 અતિ સંવેદનશીલ બુથ પણ આવેલા છે. મતદાનના દિવસે કોઈ અઇચ્છનીય બનાવ ન બને માટે ચૂંટણી ફરજ પર 4249 પોલીસ અધિકારીઓ-જવાનો તૈનાત છે. 1631 પોલીસ જવાનો, 4 એસઆરપી કંપની અને 1418 હોમગાર્ડના જવાનો, 800 ટીઆરબી જવાનો તૈનાત છે.