રાજકોટમાં રસીની અછત ચાલી રહી છે અને જેમ જેમ સ્ટોક આવે છે તેમ તેમ રસી અપાય રહી છે. આવા સમયે જાહેરનામું બહાર પાડી દીધું હતું કે, 31 જુલાઈ સુધીમાં તમામ વેપારી, ધંધાર્થીએ રસી લઈ લેવાની રહેશે. રાજકોટ મનપા એક દિવસમાં 12000 ડોઝ પણ આપી શકે તેવી ક્ષમતા ધરાવતું નથી. આ રીતે સંકલન કર્યા વગર જાહેરનામું જાહેર કરી દીધું હવે રસી ન મળતા વેપારીઓની હાલત કફોડી બની છે અને રસી વેચાતી લઈ રહ્યાં છે. આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, વેપારીઓની રસી આપવાની મુદ્દત વધારો નહીં તો વેક્સિન આપો. કારણ કે હજી 10 ટકા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે.
સોમવારે 10 હજારની સામે 3021ને રસી મળી હતી
સોમવારે વધુ 10,000 ડોઝ આવવાના હતા પણ રાજ્ય સરકારે એક પણ ડોઝ ન મોકલતા મનપા પાસે રહેલા ડોઝમાંથી 3021ને જ રસી આપી શકાય હતી. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં દિવસના 100થી 125 લોકો વેચાતી રસી લેવા જતા હતા પણ હવે આ સંખ્યા વધી રહી છે. જોકે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી મુદત વધારવા માગ કરવામાં આવી છે. સ્ટોક નથી એ તંત્રની અણઆવડતનું કારણ છે તેવી ચર્ચા ઉઠી છે.
આમાં વેપારીઓનો શું વાંક?
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ધંધાર્થીઓ અને વેપારીઓને 31 જુલાઈ સુધીમાં રસી લેઇ લેવા જાહેરનામું બહાર પાડ્યુ છે. પરંતુ પુરતો સ્ટોક અપાતો નહીં હોવાથી વેપારીઓ શું કરે? વેપારીઓ રસી લેવા તૈયાર જ છે પણ તંત્રની અણ આવડત સામે વેપારીઓનો શું વાંક? અમે તારીખ લંબાવવા સરકારમાં રજૂઆત કરી છે. વેપારીઓ માટે રસીની મુદ્દત 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.