પાણીના શુદ્ધિકરણ માટે મનપાએ કરોડોના ફિલ્ટર પ્લાન્ટ વસાવ્યા છે. પરંતુ આમ છતાં પાણીને સંપૂર્ણ શુદ્ધ કરવા માટે અંતે તંત્રવાહકોએ કુદરતના શરણે એટલે કે માછલીઓના શરણે જવું પડ્યું છે. કેમ કે ડેમમાં થતાં શેવાળ (લીલ)ને કારણે ફિલ્ટર થયેલું પાણી પણ પીળાશ પડતું આવતું હોવાની ફરિયાદ વર્ષો જૂની છે. ત્યારે હવે મનપાના તંત્રવાહકોએ ડેમમાં થતો શેવાળ ખાય જતી ગ્રાસ સ્કાર્પ જાતિની માછલીઓનો ડેમમાં ઉછેર કરવાનો નિર્ણય લીધો છે. આવી 2 લાખગ્રાસ સ્પાર્ક માછલી આજી અને ન્યારી ડેમમાં નાખવામાં આવી છે.
માછલીઓ ભુજ મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી
આ અંગે મનપાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેમમાં શેવાળનું પ્રમાણ વધી જતા આ શેવાળને નિયંત્રણમાં લેવા માટે શેવાળ જ જેનો મુખ્ય ખોરાક છે તે ગ્રાસ સ્કાર્પ જાતિની 2 લાખ જેટલી માછલીઓ ભુજ મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી મગાવી અને આજી તથા ન્યારી ડેમમાં આ માછલીઓ નાંખી દેવામાં આવી છે.
વોર્ડ નં.7ની વર્ષો જૂની પાણી સમસ્યા દૂર થશે
હવે શેવાળને કારણે પીળાશ પડતા પાણી વિતરણની વર્ષો જૂની સમસ્યાનો અંતે આવશે. નોંધનીય છે કે, ખાસ કરીને ન્યારી ઝોન હેઠળ આવતા વોર્ડ નં. 7ના સદર, ભીલવાસ, પંચનાથ સહિતના વિસ્તારોમાં પીળા પાણીની સમસ્યા વર્ષો જૂની છે ત્યારે હવે આ સમસ્યાનો અંત આવશે તેવી આશા જાગી છે.
હાલ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાય છે
હાલ રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ-1 અને ન્યારી ડેમમાં સૌની યોજના મારફત નર્માદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડી ત્રંબા અને બાદમાં બંને ડેમમાં આવી પહોંચ્યું છે. બે દિવસથી નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. દૈનિક 300 ક્યુસેક પાણી આવી રહ્યું છે. રાજકોટમાં પાણીની કટોકટીને લઇને મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને નર્મદાનું પાણી આપવા પત્ર લખ્યો હતો. આથી મુખ્યમંત્રીએ નર્મદાનું પાણી આપવા નિર્ણય કર્યો હતો.