રાજકોટમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધતું જાય છે. શહેરમાં ઘણા સમય બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100ને પાર કરી 115 પર પહોંચી છે. પરંતુ તહેવારમાં કોરોનાનું સંક્ર્મણ ફેલાવાની શક્યતા વર્તાય રહી છે ત્યારે શહેરમાં મનપાએ કોરોના ટેસ્ટિંગ બુથ બંધ રાખતા લોકોમાં આ અંગે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં 159 કેસ નોંધાયા હતા.
ટેસ્ટિંગ બુથ બંધ રાખતા પહેલા જાણ કરવી જોઈએ – સ્થાનિક
હાલ મનપાએ શહેરના KKV ચોક ખાતેના બે ટેસ્ટિંગ બુથ બંધ રાખ્યા છે, જેને પગલે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મારા મતે દરરોજ ટેસ્ટિંગ થવા જ જોઈએ, હવે તો લોકો સ્વેચ્છાએ ટેસ્ટિંગ માટે આવે છે. આમ અચાનક ટેસ્ટિંગ બુથ બંધ કરી દે તે ન ચાલે, ટેસ્ટિંગ બુથ બંધ રાખતા પહેલા જાણ કરવી જોઈએ.
લોકોની ભીડ એકઠી થાય તો સંક્રમણ વધવાની શક્યતા
હાલ ધુળેટીના પર્વ પર રાજકોટમાં આખા દિવસનું લોકડાઉન લાદવામાં નથી આવ્યું, જેથી લોકો આ રજાના દિવસોમાં આજી ડેમ પર ફરવા માટે જાય તો લોકોની ભીડ પણ એકઠી થઈ શકે છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ડેમ સાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી હતા હાલ 218 દાખલ, રોજ 50નો ઉમેરો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા 60 દર્દી દાખલ હતા અને તેમાં પણ ગંભીર કેસ ખૂબ ઓછા હતા. જોકે હવે સ્થિતિ તેનાથી ઊંધી થઈ છે અને રોજના 50 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે દાખલ દર્દીની સંખ્યા 218 થઈ છે. જે પૈકી બીજા માળે ICU ફુલ થઈ ગયું છે. જેથી ત્રીજા અને ચોથા માળે પણ એડમિશન શરૂ કરાયા છે. હાલ 200માંથી 130 જેટલા ઓક્સિજન પર છે જ્યારે બાઈપેપ અને વેન્ટિલેટર પર 30 દર્દી છે જેમની હાલત ગંભીર થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે, હવે જે કેસ આવે છે તેમાં મોટાભાગે નજીવા જ હોય છે પણ તે માન્યતાનું ખંડન થયું છે.