રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી દૈનિક 90થી 100 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોના કેસ વધતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલ- કોલેજ ઓફલાઇન ચાલુ થતા ક્યાંક વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાલીઓએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12 સિવાયની તમામ સ્કૂલ બંધ રાખવા માંગ કરી છે.
ધો. 10 અને 12 સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો
રાજકોટ સહિત રાજ્યમાં સ્કૂલ-કોલેજ શરૂ કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટમાં સ્કૂલ-કોલેજો ઓફલાઈન શરૂ કરવામાં આવી છે. આજે સ્કૂલ-કોલેજ શરૂ થયા બાદ જે રીતે છેલ્લા 15 દિવસથી કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના વાલીઓનું માનવું છે કે વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય રહ્યું છે, સ્કૂલોમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતું નથી અને હાલની સ્થિતિ રાજકોટની ગંભીર થતી જઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ શરુ કરી અને માસ પ્રમોશન આપવું જોઇએ.
પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સંચાલકો સંપર્કમાં છે
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટની પરિસ્થિતિ જોતા સંચાલકો દ્વારા ગઈકાલે મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટની સ્કૂલોમાં એકલ દોલક વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો પોઝિટિવ આવ્યાની ઘટના સામે આવી છે. જેમાં તુરંત જ વિદ્યાર્થીને 14 દિવસ સ્કૂલે પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. જરૂર જણાય તો સર્કલ ઓફિસર સાથે વાતચીત કરી સુચના મુજબ નિયમ પાલન કરવામાં આવશે.
શિક્ષકો સંક્રમિત થાય તો ગંભીર અસર પહોંચી શકે
રાજકોટ શહેરમાં સરસ્વતી સ્કૂલ, મોદી સ્કૂલ, મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક કોરોના પોઝિટિવ થયાની ઘટના સામે આવી છે. ત્યારે હાલની સ્થિતિ જોતા શહેરમાં સંક્રમણ વધતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સંક્રમિત થાય તો ગંભીર અસર પહોંચી શકે તેમ છે. ત્યારે સરકાર સ્કૂલ-કોલેજ અંગે યોગ્ય નિર્ણય કરે તે ખૂબ જ જરૂરી છે.