જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીરા સૃષ્ટી રૈયાણીની એક તરફી પ્રેમી જયેશે છરીના 35 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા છે. આ અંગે આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જેતલસર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. ભોગ બનનાર સગીરાને પુષ્પાજંલિ અર્પણ કરી જયેશ રાદડિયાએ તેના પરિવારને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની બાંહેધરી આપી હતી.
પોતાના મત વિસ્તારમાં આ બનાવ અંગે સમીક્ષા કરી હતી
જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કર્યુ હતું અને તે વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શખ્સે મંગળવારે બપોરના સમયે માતા-પિતા મજૂરી અર્થે બહાર ગયાં હતા ત્યારે યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જેના વિરોધમાં હાર્દિક પટેલથી લઈને અનેક રાજકીય આગેવાનો મેદાને આવ્યા છે. ત્યારે આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ પોતાના મત વિસ્તારમાં આવીને બનાવ અંગે સમીક્ષા કરી હતી.
મેં CMને રૂબરૂ મળીને સખત કાર્યવાહી કરવાની રજુઆત કરી-રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મેં CM અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહને રૂબરૂ મળીને પુન: આવા નિંદનીય બનાવ ન બને એ માટે આગેવાનો અને ગ્રામજનોની માગણી મુજબ સખત કાર્યવાહી કરવાની રજુઆત કરી છે. મૃતક સુષ્ટિ રૈયાણી સગીરા છે એટલે આ કેસમાં હત્યાની કલમો સાથે પોક્સો કલમનો પણ ઉમેરો કરાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગેની હાઇ લેવલની કમિટી રચીને સમગ્ર કેસ રાજકોટ જિલ્લા પોલીસ વડાને નિગરાનીમાં કેસને તાત્કાલિક ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે.
સગીરાના પરિવારને ઝડપી ન્યાય મળે તેવા અમારા સક્રિય પ્રયાસો
વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર દ્વારા બનાવના સંદર્ભે આરોપીને કડકમાં કડક સજા મળે તેમજ ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરાવી છે. તેમજ યુવતી સગીર હોય પોસ્કો કલમ લગાડીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ સમગ્ર કેસની તપાસ જિલ્લાના SP દ્વારા કરવામા આવશે. તેમજ રાજ્ય સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા દર 15 દિવસે મળતી હાઈપાવર કમિટીમા આ કેસનો રિવ્યુ લેવામા આવશે. માસુમ દીકરીને ઝડપી ન્યાય મળી રહે તેવા અમારા સક્રિય પ્રયાસો રહેશે. તેવી ખાતરી પણ જયેશ રાદડિયાએ સમગ્ર ગ્રામજનો તેમજ દીકરીના પરિવારજનોને આપી હતી.