રાજકોટના માધાપર ચોકડી પાસે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જોકે શહેરમાં તમામ એમ્બ્યુલન્સ હાલ કોરોનામાં વ્યસ્ત હોવાથી એક પણ એમ્બ્યુલન્સ ન મળતા મહિલાની ડેડબોડીને છકડો રિક્ષામાં લઇ જવી પડી હતી. 108ને ફોન કર્યો પરંતુ કોરોનામાં વ્યસ્ત હોવાથી 2 કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે છકડો રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો હતો.
પરિવારજનોએ 108ને કોલ કર્યો પણ આવી જ નહીં
મૃત મહિલાનું નામ જસુબેન ભીમાભાઇ ઓળકીયા (ઉં.વ.53) અને શહેરના રૈયાધાર પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. સગા-સંબંધીઓને જાણ થતા સ્થળ પર પહોંચ્યા હતા. બાદમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા તાત્કાલિક 108માં કોલ કરવામાં આવ્યો હતો. જોકે 2 કલાક સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન હતી અને અંતે પરિવારજનોએ છકડો રિક્ષા બોલાવી મૃતદેહ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
મહિલા ગઇકાલે બપોર પછી ગાયોનો ચારો લેવા નીકળી હતી
રૈયાધાર રંભામાની વાડી પાસે રહેતાં જસુબેન ઓળકીયા ગઇકાલે બપોર બાદ ઘરેથી ગાયો માટે ચારો લેવા જવા માટે નીકળ્યા હતાં. એ પછી મોડે સુધી પાછા ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચે એક મહિલાનો મૃતદેહ મળતાં લોકો એકઠા થઇ ગયા હતાં. એ વખતે જસુબેનના પરિવારના એક ઓળખીતા વ્યક્તિ પણ ત્યાં જોવા જતાં તે જસુબેનને ઓળખી જતાં તેમના પરિવારજનોને જાણ કરતા દોડી આવ્યા હતા.
તડકો લાગવાથી મોત નીપજ્યાની શંકા
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં ગાંધીગ્રામના ASI પી. એન. પરમાર અને ગોપાલભાઇ સહિતે હોસ્પિટલે અને ઘટનાસ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જસુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. જસુબેનને તડકો લાગી જતાં બેભાન થઇ ગયા બાદ મોત નીપજ્યાની શંકા સેવાઇ રહી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.