રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાન નામનું એક ચેપ્ટર ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ પત્ર લખી માંગ કરતા રાજકારણ ગરમાયું છે. જો કે વિવાદ સર્જાતા આજ રોજ નેહલ શુક્લએ પોતાનો પત્ર પાછો ખેંચી પોતાનો આ નિર્ણય પરત ખેચી આવું કોઈ ચેપ્ટર ન ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિને ભલામણ કરી છે.
નિર્ણય પરત ખેંચી આ ચેપ્ટર ઈતિહાસ વિષયમાં ન મુકવા ભલામણ કરી
અવાર નવાર વિવાદોના ઘેરામાં રહેતી સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનું શાસન છેલ્લા થોડા સમયથી કુલપતિ અને ઉપકુલપતિની નિમણુક બાદ સારી રીતે ચાલી રહ્યું છે. તેમાં સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના ભાજપી સિન્ડીકેટ સભ્ય ડોક્ટર નેહલ શુક્લના પરિપત્રથી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. ડોક્ટર નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિને પત્ર લખી ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાન ચેપ્ટરનો ઉમેરો કરવા માંગ કરી હતી. સાથે જ આ માંગ કરતા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આઝાદી પછી સતત કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું શાસન કેન્દ્રમાં હોવાથી ઈરાદાપૂર્વક માત્ર ગાંધી પરિવારને રાખી મહાનાયકોના યોગદાનને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે સિન્ડીકેટ સભ્યે લખેલા આ પત્રથી વિવાદ સર્જાતા તેમને પોતાનો આ નિર્ણય પરત ખેંચી આ ચેપ્ટર ઈતિહાસ વિષયમાં ન મુકવા ભલામણ કરી છે.
ભાજપી સિન્ડીકેટ સભ્યના આ પત્ર બાદ વિવાદ
ભાજપી સિન્ડીકેટ સભ્યના આ પત્ર બાદ વિવાદ સર્જાતા કોંગ્રસી સિન્ડીકેટ સભ્યોનું માનવું છે કે, ભારતનો ઈતિહાસ એ જ કોંગ્રેસનો ઈતિહાસ છે. મહાત્મા ગાંધીથી લઈને ગાંધી પરિવારના શાસનને લોકોએ જાણ્યું અને માણ્યું છે. ભારતમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ઈતિહાસને વિકૃતરૂપે રજૂ કરવો તેની સ્પર્ધા ચાલી રહી છે. જ્યાં ભાજપનું શાસન છે ત્યાં અનેક વખત આવા પ્રયાસો થઈ ચૂક્યા છે અને તેના ભાગરૂપે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાનનું ચેપ્ટર ઉમેરવા માટેની માંગ થઈ છે. આક્ષેપ કરતા વધુમાં એ પણ જણાવ્યું કે, આજના સમયમાં યુનિવર્સિટીની અંદર કુલપતિની નિમણુક એ RSS દ્વારા થાય છે અને પરિસ્થિતિ ભગવાકરણ તરફ લઇ જવવામાં આવી રહી છે.