અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 9 વાગ્યે મતદાન શરૂ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા અને આર.સી. ફળદુ સહિત 40થી વધુ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ મતદાન કરવા પહોંચ્યા છે.તેમજ પાલનપુરથી લક્ઝરીમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. કોંગ્રેસમાંથી પુનાજી ગામીત, નૌશાદ સોલંકી, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ મતદાન કરવા માટે આવ્યા છે.
આ ચૂંટણીમાં જીત માટે ભાજપ પાસે પૂરતા મત હોવાથી ભાજપે ક્રોસ વોટિંગ કરાવવા માટે કોઇ પ્રયત્ન કરવો પડે તેમ નથી. તેમ છતાં કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર,ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારોને મત આપે તેવી શક્યતા છે.
મત્સ્યઉદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી અને ગાંધીનગર દક્ષિણનાં એમએલએ શંભુજી ઠાકોર સહાયકની મદદથી મતદાન કરશે. પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે તેમના ભાઈ હીરાભાઈ સહાયક તરીકે રહેશે.
ભાજપની જીત નિશ્ચિત છતાં કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી બે અલગ-અલગ બેલેટમાં થવાની હોવાથી ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે તેમ છતાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને પાલનપુર ખાતરના બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે. જેમાં ઠાકોર ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ડાભી સહિતના ધારાસભ્યો કોંગ્રેસની આ યાત્રામાં જોડાયા નથી. ત્યારે આ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસની વિરુદ્ધમાં ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ છે.
વિધાનસભામાં કોની પાસે કેટલું સંખ્યાબળ
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે. અને બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા પણ કોંગ્રેસને જ મત આપે તો પણ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટે જરૂરી મત મળે તેમ નથી.
જીતવા માટે કેટલા મત જરૂરી
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.