છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના MP અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચાર્ટર પ્લેન દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવશે. ભારદ્વાજને ચેન્નઈની MGM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે, જ્યાં તેમની સારવાર ડો. બાલાક્રિષ્નન કરશે. તેમની સાથે મુંબઈના ડો. ઓઝા સહિત 3 ડોક્ટર, અભયભાઈના પુત્ર અંશ અને તેમના ભાઈ પણ તેમની સાથે ચેન્નઈ જશે.
ડો. બાલાક્રિષ્નન કોરોનાકાળમાં કપરા કેસોમાં પણ સફળતા મેળવી ચૂક્યા
ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાં માટેના દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતના 90 ટકા ડેમેજવાળા કોરોના દર્દીને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતાં તેમને સારવાર આપી સાજા કર્યા છે. તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોના નિષ્ણાત છે. તેઓ કોરોનાકાળમાં કપરા કેસોમાં પણ સફળતા મેળવી ચૂક્યા છે.
કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી થઈ છે
સાંસદ અભય ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી થઈ છે. ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં ઓક્સિજન પહોંચતો નથી, તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી રહી છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તેમની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું. આ માટે ફેફસાંના નિષ્ણાત ડો. સમીર ગામી મોડી રાત્રે ચાર્ટર પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા અને તેમની સારવાર કરવામાં આવી હતી.
ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી સિવિલમાં સારવાર હેઠળ
મહત્ત્વનું છે કે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ તબિયત બગડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી.