વડોદરાઃ વાઘોડિયાના આકડીયાપુરા ગામના લોકોએ નર્મદાની માઇનોર કેનાલમાંથી મગરને દોરડા વડે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મગરને બાઇક પર બેસાડીને તેનું સરઘસ કાઢતા સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોને પગલે વન અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
બાઇક પર મગરને મંદિર સુધી લઇ જવાયો
વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. જોકે કેનાલમાં બે ફૂટ પાણી હોવાથી વન વિભાગના કર્મચારીઓ મગર પકડ્યા વિના જ જતા રહ્યા હતા, જેથી ગામ લોકો ભેગા મળીને દોરડાથી બાંધી મગરને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અને બાઇક પર સરઘસ કાઢીને મગરને ગામના મંદિરે લઈ ગયા હતા.
વન વિભાગે મગર ન પકડતા અમે પકડ્યો
ગ્રામજનોએ કહ્યું હતું કે, આ મગરની સવારના સાત વાગ્યે વન વિભાગના અધિકારીને કરી હતી. પરંતુ અધિકારી આવીને જતા રહ્યા હતા. અમે આ મગરને દોરડાથી બાંધી મંદિરે લઈ આવ્યા હતા. ગામના સરપંચ ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં મગર દેખાયો હતો. જેથી અમે વન વિભાગને જાણ કરી પણ તેઓ આવીને જતા રહ્યા હતા. જેથી 25 જેટલા યુવાનોએ મગરને દોરડાથી બાંધી સહી સલામત મંદિરે લઈ આવ્યા છે. વન વિભાગને જાણ કરી છતાં મગરને પકડવા આજ દિન સુધી પાજરૂ મૂકાયું નથી.