જૂન મહિનામાં વ્યાજ દર હજી વધુ શકે છે. આ સંકેત ખુદ આરીબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જ આપ્યા છે. આરબીઆઈના ગવર્નરે એ પણ કહ્યું કે, જૂનમાં જ્યારે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળશે ત્યારે નવેસરથી મોંઘવારી દરના અનુમાનના આંકડા જાહેર કરવામાં આવશે. કમજોર પડી રહેલા રુપિયાને લઈને આરબીઆઈ ગવર્નરે એ પણ કહ્યું કે, રૂપિયાને સતત ઘટવા દેવામાં આવશે નહીં.
RBI ગવર્નરે સંકેત આપ્યા છે કે, આરબીઆઈ ફરીથી વ્યાજના દરોમાં વધારો થવાની જાહેરાત કરી શકે છે. ઘણા જાણકારોનું માનવું છે કે, આરબીઆઈ પોતાની મોનિટરી પોલિસી કમિટી ( MPC)ની બેઠકમાં 25 થી 35 ટકા રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. રેપો રેટનું હાલનું સ્તર 4.40 ટકાથી વધારીને 4.75 ટકા સુધી કરવામાં આવી શકે છે. આવું થશે તો લોન ધારકોના હપ્તા વધુ મોંઘા થઈ શકે છે.
એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર 7.79 ટકા રહ્યો હતો જે 8 વર્ષના સર્વાધિક સ્તર પર છે. મોંઘવારીના આ આંકડાથી સરકારથી લઈને આરબીઆઈની ચિંતા વધારી દીધી છે. મોંઘવારીનો આ વધારો આરબીઆઈએ કરેલા 2022-23ના મોંઘવારીના અનુમાન 5.7 ટકા કરતાં ઘણો વધુ છે. આ સાથે આરબીઆઈની સહન કરવાની સીમા 6 ટકા કરતાં પણ વધુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જૂનમાં મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઈ 2022-23 માટે મોંઘવારી દરના પોતાના અનુમાનમાં બદલાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 6 થી 8 જૂન સુધી મોનિટરી પોલિસી કમિટીની મિટીંગ યોજાનાર છે.