ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરાકાળમા ખેડૂતોના પડખે ઉભી રહી છે ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજય સરકારે કર્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી 7મી ઑગસ્ટથી દશ કલાક વીજળી અપાશે.
વધુમાં ઉર્જામંત્રી પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.
સૌરભભાઈ પટેલે કહ્યુ કે, રાજયના ખેડૂતો ને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતો ને હવે આઠ કલાક ના બદલે દશ કલાક વીજળી આપવામાં આવશે જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.